News of Wednesday, 12th September 2018
મગફળીમાં વેચવાલીના અભાવે કોમર્શિયલ સીંગદાણામાં મજબૂતીઃ ટને ૧૦૦૦નો ઉછાળો
જુના ઓર્ડર પુરા કરવા કારખાનાવાળા પાસે માલનો અભાવ!
રાજકોટ, તા.૧૨ : મગફળી અને સીંગદાણામાં મજબૂતીનો માહોલ જોવાઈ રહ્યો છે. મગફળીની વેચવાલીના અભાવે કોમર્શિયલ સિંગદાણાનાં ભાવમાં ટને રૂ.૧૦૦૦નો વધારો થયો હતો.
વેપારીઓના માનવા મુજબ આગામી દિવસોમાં મગફળીની વેચવાલીના આધારે ભાવની વધઘટ નિર્ભર રહેશે બજારમાં જો મગફળીની વેચવાલી વધશે તો જ બજારમાં ઘટાડો થશે, એ સિવાય સરેરાશ બજારમાં ભાવ સપાટી આસપાસ અથડાય કરશે.
કોમર્શિયલ સિંગદાણાના ભાવમાં છેલ્લા દિવસોમાં રૂ.૧૦૦૦નો વધારો થઈને રૂ.૫૬, ૫૦૦થી ૫૭૦૦૦ના ભાવ બોલાતા હતા.
વેપારીઓ કહે છે કે જન્માષ્ટમીની રજાઓના કારણે જુના ઓર્ડર પુરા કરવા પણ કારખાનાવાળા પાસે હાલમાં માલની ખેંચ છે. જેથી બજારમાં તેજીનો માહોલ જોવાઈ રહયો છે. બીજીતરફ નાફેડનું વેચાણ પણ ઘટી ગયું છે.
(9:50 am IST)