બંટી ઔર બબલી ૨, પૃથ્વીરાજ,જયેશભાઇ જોરદાર અને શમશેરાની રિલીઝની તારીખો જાહેર
યશરાજ ફિલ્મ્સની મોટી જાહેરાત
મુંબઇ,તા. ૨૭: ૪૦૦ કરોડની ઓટીટી ઓફર ઠુકરાવ્યા બાદ, આખરે યશરાજ ફિલ્મ્સે તેની ચાર ફિલ્મોની રિલીઝની તારીખ જાહેર કરી છે. આ ચાર ફિલ્મો થિયેટરોમાં રિલીઝ થશે. ચાહકો લાંબા સમયથી આઅ ફિલ્મોની રાહ જોઈ રહ્યા હતા. જે ચાર ફિલ્મોની રિલીઝ તારીખો જાહેર કરવામાં આવી છે તેમાં બંટી ઔર બબલી ૨, પૃથ્વીરાજ, જયેશભાઈ જોરદાર અને શમશેરાનું નામ છે.
આદિત્ય ચોપરાના પ્રોડક્શન હાઉસની દ્યણી ફિલ્મો છે, જે રિલીઝ માટે તૈયાર છે, પરંતુ કોરોનાને કારણે થિયેટરો બંધ હોવાથી તેમને હજી સુધી ફિલ્મો રજૂ કરી નથી. ‘બંટી ઔર બબલી ૨‘, ‘શમશેરા', ‘પૃથ્વીરાજ', ‘જયેશભાઈ જોરદાર' ને નિર્માતાઓ દ્વારા ૧૮ મહિનાથી વધુ સમય સુધી રિલીઝ માટે રોકવામાં આવી હતી. હવે સિનેમાઘરો ફરી શરૂ થવાની જાહેરાત બાદ યશરાજ ફિલ્મ્સે આ ચાર ફિલ્મોની રિલીઝ ડેટ આપી છે.
‘બંટી ઔર બબલી ૨' ૨૦૦૫ ની હિટ કોમેડી ફિલ્મ ‘બંટી બબલી'ની સિક્વલ છે, જેમાં રાની મુખર્જી, અભિષેક બચ્ચન અને અમિતાભ બચ્ચન હતા. સિક્વલમાં સૈફ અલી ખાન, રાની મુખર્જી, સિદ્ધાંત ચતુર્વેદી અને શર્વરી વાદ્ય મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ ૧૯ નવેમ્બર ૨૦૨૧ના રોજ રિલીઝ થવાની છે.
‘પૃથ્વીરાજ' અક્ષય કુમાર, સંજય દત્ત, માનુષી છિલ્લર અને સોનુ સૂદ અભિનિત ઐતિહાસિક ફિલ્મ છે. આ ફિલ્મનું નિર્દેશન ડો. ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ કર્યું છે. આ ફિલ્મ આ દિવાળીએ થિયેટરોમાં આવવાની હતી, પરંતુ હવે નિર્માતાઓએ ફિલ્મ ૨૧ જાન્યુઆરી, ૨૦૨૨ના રોજ રિલીઝ કરવાની જાહેરાત કરી છે.
‘જયેશભાઈ જોરદાર' રણવીર સિંહ અને શાલિની પાંડે અભિનીત એક સામાજિક કોમેડી ફિલ્મ છે. આ ફિલ્મ ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૨નારોજ થિયેટરોમાં રિલીઝ થશે.
‘શમશેરા' સાથે YRF તેની ૫૦મી વર્ષગાંઠ ઉજવવા માંગે છે. આ પણ એક ઐતિહાસિક ફિલ્મ છે, જે ૧૮ માર્ચ ૨૦૨૨ના રોજ રિલીઝ થવા જઈ રહી છે. તેમાં રણબીર કપૂર, સંજય દત્ત અને વાણી કપૂર મુખ્ય ભૂમિકામાં છે.