પ્રોડયુસરની શરતે કામ કરવા રાજી
'દયાબેન'ની તારક મહેતા...માં રીએન્ટ્રી થશેઃ નોરતા દરમ્યાન એપીસોડમાં દેખાશે
મુંબઇ, તા.૨૭: પોપ્યુલર કોમેડી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં નવી સોનુની એન્ટ્રી થયા બાદ વધુ એક એન્ટ્રી થવાની છે. એ છે 'દયાબેન'ની. શોના મેકર્સે 'દયાબેન'ની એન્ટ્રી માટે તૈયારી કરી લીધી છે. દયાબેન તરીકે બીજી કોઈ એકટ્રેસ નહીં દિશા વાકાણી જ જોવા મળશે.
મીડિયા રિપોર્ટ અનુસાર, દિશા વાકાણી નવરાત્રી દરમિયાન 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં વાપસી કરવાની છે. રિપોર્ટ પ્રમાણે, દિશા અને સીરિયલના પ્રોડ્યુસર આસિત મોદી વચ્ચેના મતભેદો દૂર થયા છે. દિશા શોના મેકર્સની શરતો પ્રમાણે કામ કરવા માટે માની ગઈ છે. રિપોર્ટનું માનીએ તો દિશાએ શોનો કોન્ટ્રાકટ પણ સાઈન કરી લીધો છે. મતલબ કે, ઓકટોબર મહિનામાં ફરીથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં 'હે! મા માતાજી'સાંભળવા મળી શકે છે.
ઉલ્લેખનીય છે કે, દિશા વાકાણી લગભગ દોઢ વર્ષ પહેલા મેટરનીટી લીવ પર ગઈ હતી અને ત્યારથી સીરિયલમાં દયાબેનની ગેરહાજરી જોવા મળે છે. આ દરમિયાન દિશા શોમાં વાપસી કરશે કે નહીં તે વિશે જાતભાતની અટકળો હતી. સાથે જ દિશાના બદલે કોઈ બીજી એકટ્રેસ દયાબેનનું પાત્ર ભજવશે તેવા અહેવાલો સામે આવ્યા હતા. અમી ત્રિવેદી અને વિભૂતિ શર્મા જેવી એકટ્રેસના નામ દયાબેનના રોલ માટે સામે આવ્યા હતા. પરંતુ કોઈની એન્ટ્રી દયાબેન તરીકે થઈ નહીં.
થોડા દિવસથી સીરિયલમાં પણ દયાબેનને યાદ કરવામાં આવી રહ્યા છે. એક એપિસોડમાં જેઠાલાલે પણ કહ્યું હતું કે, દયા જલદી જ આવશે. ત્યારે આ બધું જોતાં લાગી રહ્યું છે કે દિશાની એન્ટ્રી નવરાત્રીમાં થઈ જ જશે. હવે, દિશા વાકાણી પાછી આવી રહી છે ત્યારે દર્શકોમાં સીરિયલ જોવાનો ઉત્સાહ વધી જશે.