ફિલ્મ જગત
News of Tuesday, 27th April 2021

સના ખાન બાદ હવે અભિનેત્રી આશકા ગોરડિયાએ લીધો એકિટંગમાંથી સંન્યાસ

ટેલીવિઝનની ચર્ચિત અને સુંદર અભિનેત્રી આશકાએ એકિટંગને અલવિદા કહી દીધું છેઃ જો કે, અભિનય જગત છોડવાનું કારણ ધર્મ નથી, જે છેલ્લા કેટલાક મામલે જોવા મળ્યું હતું

મુંબઇ, તા.૨૭: ટેલીવિઝન એકટ્રેસ આશકા ગોરડિયાના ચાહકો હવે તેને પડદા પર નહીં જોઇ શકે. ટેલીવિઝનની ચર્ચિત અને સુંદર અભિનેત્રી આશકાએ એકિટંગને અલવિદા કહી દીધું છે. જો કે, અભિનય જગત છોડવાનું કારણ ધર્મ નથી, જે છેલ્લા કેટલાક મામલે જોવા મળ્યું હતું. હકીકતે, આશકા પોતાના કેટલાક સપના પૂરા કરવા માગે છે.

આશકાએ બોમ્બે ટાઇમ્સ સાથેની વાતચીતમાં કહ્યું કે તે હવે બિઝનેસ કરવા માગે છે, કારણકે હંમેશાંથી તેના લોહીમાં રહ્યું છે અને છેલ્લા કેટલાક સમયથી તે પોતાના આ સપનાને પૂરો કરવા માગતી હતી. અભિનય તેના જીવનમાં એકાએક થયું. આશકાએ જણાવ્યું કે જયારે તે ૧૬ વર્ષની હતી ત્યારે મુંબઇ આવી ગઈ હતી, પણ અભિનય કવાની સાથે બિઝનેસ કરવાની ઇચ્છા પણ લોહીમાં સતત વહેતી રહી. આશકા કોસ્મેટિકસના બિઝનેસમાં છે.

આશકાએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં પણ લખ્યું હતું કે બે વર્ષ પહેલા તેણે પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો, જે હવે એકસપાન્ડ થઈ રહ્યો છે અને આની સાથે જ તે પણ આગળ વધી રહી છે. એકિટંગે તેને સુંદર વિશ્વ આપ્યું પણ હવે તે બિઝનેસ યૂનિવર્સમાં અંતહિન અવસરો જોઇ રહી છે.

આશકાએ પોતાનું એકિટંગ કરિઅર ૨૦૦૨માં સોની ટીવીના ધારાવાહિક અચાનક ૩૭ સાલ બાદ દ્વારા શરૂ કર્યું હતું, પણ આશકાને ૨૦૦૩-૨૦૦૫માં આવેલા ધારાવાહિક કુસુમ દ્વારા ઓળખ મળી. આ શોમાં તેણે કુમુદનું પાત્ર ભજવ્યું હતું. તેના પછી ખૂબ જ લોકપ્રિય ટેલીવિઝન શો કયોંકિ સાસ ભી કભી બહૂ થીમાં આશકા રઝિયાના પાત્રમાં જોવા મળી. પોતાની અભિનય યાત્રાને લઈને આશકાએ કહ્યું કે એકિટંગ સાથે તેણે દ્યણું બધું મળ્યું. આથી તેને મેકઅપની સમજણ થઈ અને ઇન્ડસ્ટ્રીમાં કંઇક કરવાનો માર્ગ દેખાયો.

આશકાના જીવનમાં યોગનું પણ દ્યણું મહત્વ છે, જેનો ખ્યાલ તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી તો આવી જ જાય છે. આશકા દ્યણીવાર યોગ કરતા પોતાની તસવીરો અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી હોય છે. આ યોગને કારણે જ તેની મુલાકાત પતિ બ્રેન્ટ ગોબલે સાથે થઈ. બન્નેની યોગ કરતી તસવીરો સોશિયલ મીડિયા પર જોવા મળે છે.

આશકા છેલ્લે ૨૦૧૯માં ડાયન સીરિયલમાં અભિનય કરતી જોવા મળી હતી. રિયાલિટી શો કિચન ચેમ્પિયન ૫માં પણ તેને કોન્ટેસ્ટન્ટ તરીકે ભાગ લીધો હતો. જણાવાવનું કે, આ પેહલા એકટ્રેસ સના ખાન અને એકટર સાકિબ ખાને પણ એકિટંગ જગતને અલવિદા કહી દીધું હતું. જો કે, તેમણે તેના પાછળનું કારણ ધાર્મિક છે તે જણાવ્યું હતું.

(10:16 am IST)