ગોંડલના યુવા સંગીતકારે
મહારાજા ભગવતસિંહજી પ્રેરીત રાજગીતનું કંપોઝીશન કર્યું : યુ-ટયૂબ ચેનલ પર રજૂ થયું
(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૨૬ : અનેક સંગીત આલ્બમો અને કંપોઝીશન દ્વારા નાની વયે ગોંડલનું નામ રોશન કરનારા યુવા સંગીતકાર ભાવીન પરમારે પોતાની યુ-ટયુબ ચેનલની શરૂઆત સર ભગવતસિંહજી પ્રેરીત ગોંડલનાં રાજગીત રજુ કરી પોતાની કર્મભુમીનું ઋણ ચુકતે કર્યુ છે.
ભાવીન પરમારે નાની વયે સંગીત સાધના શરૂ કરી સંગીતની દુનિયામાં કદમો માંડ્યા હતાં.ખાસ્સી સફળતા બાદ પોતાની યુ ટયુબ ચેનલ 'સ્ટુડિયો સિમ્ફની' શરૂઆત માટે અનેક સ્વપ્નો સેવ્યા બાદ કર્મભુમીને યાદગાર બનાવવાં સર ભગવતસિંહજી દ્વારા પ્રેરીત કલા રચના સમા રાજગીતને સંગીતબધ્ધ કરી ગીતમાં પોતાનો સ્વર આપી ચેનલનો પ્રારંભ કર્યો છે.
ભાવીન પરમારે કુમારશ્રી જયોર્તિમયસિહજી (હવા મહેલ) દ્વારા રાજગીતનાં શબ્દો સાથે પ્રેરણા મેળવી હતી. ભાવીન પરમાર દ્વારા રાજવીકાળનાં સંભારણાં સમા રાજગીતને સ્વર સંગીતનો નવો ઓપ આપ્યો હોય નગરપાલિકાનાં પ્રમુખ અશોકભાઈ પીપળીયા સહીત શહેરની વિવિધ સંસ્થાઓએ બિરદાવાયા હતા.