‘બબીતાજી' તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોનો ભાગ છે અને તેઓ શો છોડવાના નથીઃ આસિત મોદીએ વાતને અફવા ગણાવી
આગામી દિવસોમાં મુનમુન દત્તા શોમાં જોવા મળશે
મુંબઇ: ટીવીની મોસ્ટ પોપ્યુલર કોમેડી સીરિયલ તારક મહેતા કા ઉલટા ચશ્મા અને તેના તમામ પાત્રો સતત સમાચારમાં રહેતા હોય છે. આ શોના દરેક પાત્ર સાથે દર્શકોને ખાસ લાગણી છે. ચાર વર્ષ બાદ પણ દર્શકો શોમાં દયા વાંકાણીની વાપસીની રાહ જોઈ રહ્યાં છે. આ વચ્ચે હવે એક મહિનાથી શોમાં બબીતાજી એટલે કે મુનમુન દત્તા નજર આવી નથી રહી. આ કારણે તેના શો છોડવાના સમાચાર સામે આવી રહ્યાં છે. પરંતુ હવે આ મામલે શોના મેકર અસિત મોદીએ મોટો ખુલાસો કર્યો છે.
અનેક એપિસોડથી નથી દેખાઈ મુનમુન દત્તા
હકીકતમાં ગતા મહિનાથી ટેલિકાસ્ટ થઈ રહેલા કેટલાક એપિસોડમાં મુનમુન દત્તા નજર આવી નથી રહી. આ વચ્ચે જણાવી દઈએ કે, થોડા સમય પહેલા મુનમુન દત્તા એક વીડિયોને કારણે વિવાદમાં આવી હતી. તેના પર કેસ થયો હતો, જેના બાદ તેમણે માફી માંગી હતી. આવામાં મુનમુન દત્તા શોમાંથી ગાયબ જણાયા હતા. જેને કારણે દર્શકોના દિમાગમાં અનેક સવાલો પેદા થયા છે. મુનમુન દત્તાના શો છોડવાની અફવાઓ પણ ફેલાઈ છે. આ ખબર આગની જેમ સોશિયલ મીડિયા પર ફેલાઈ છે.
અસિત મોદીએ કર્યો ખુલાસો
શોના મેકર્સે હવે આ અફવા પર પૂર્ણવિરામ મૂકવા ખુશખબરી આપી છે. અસિત મોદીએ કહ્યું કે, મુનમુન દત્તા હજી પણ આ શોનો ભાગ છે અને તેઓ ક્યાંય નથી ગયા. ઈટાઈમ્સ સાથે વાત કરતા નિર્માતા આસિત મોદીએ કહ્યું કે, મુનમુન દત્તા ‘તારક મહેતા’ માં બબીતાજીના રૂપમાં શુટિંગ ચાલુ રાખશે. તેમની શો છોડવાની વાત માત્ર અફવા છે. તે સમગ્ર રીતે આધારહીન અને ખોટા સમાચાર છે.
દમણમાં ચાલી રહ્યું છે શુટિંગ
ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં શુટિંગ નિયમોને કારણે શોનું શુટિંગ દમણમાં થઈ રહ્યું હતું. પરંતુ હવે મુંબઈમાં શુટિંગ શરૂ થઈ ચૂક્યું છે. તેથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, આગામી એપિસોડમાં મુનમુન દત્તા જરૂર નજર આવશે.