હવે આ અભિનેત્રી પકડશે કોંગ્રેસનો હાથ: મળી શકે કે આ જગ્યાની સીટ
મુંબઈ:અભિનેત્રી ઉર્મિલા માંતોડકર રાજનીતિક પારી શરૂ કરે તેવી શક્યતા છે. આગામી બે ત્રણ દિવસમાં આ અભિનેત્રી કોંગ્રેસ પાર્ટીમાં જોડાય તેવી શક્યતા છે. સમાચારો મળી રહ્યા છે કે ઉર્મિલા ને કોંગ્રેસ પાર્ટી નોર્થ મુંબઈની લોકસભા સીટ માટે ઉમેદવાર જાહેર કરી શકે છે. આ બેઠક પર ભાજપ તરફથી ગોપાલ શેટ્ટી ઉમેદવાર છે. કોંગ્રેસની રણનીતિ છે કે તે ગોપાલ વિરૂદ્ધ ગ્લેમરસ ચહેરો મેદાનમાં ઉતારીને મતદાતાઓને આકર્ષિત કરી શકે તેમ છે. આ જ કારણે ઉર્મિલાને ચૂંટણીમાં ઉતારાય તેવી શક્યતા છે. લોકસભા ચૂંટણી 2019માં નોર્થ મુંબઈથી મરાઠી અભિનેત્રી આશાવરી જોશી અને શિલ્પા શિંદેએ પણ કોંગ્રેસ પાસેથી ટીકિટ માંગી છે. જો કે હજુ સુધી તેમના પર પાર્ટીએ કોઈ નિર્ણય કર્યો નથી. વર્ષ 2014માં લોકસભા ચૂંટણીમાં નોર્થ મુંબઈ સીટ પરથી કોંગ્રેસે સંજય નિરૂપમને ચૂંટણી લડાવ્યા હતા, તેઓ ભાજપના ગોપાલ શેટ્ટી સામે હારી ગયા હતા. જીત અને હાર વચ્ચે મોટું અંતર રહ્યુ હતુ. જેના કારણે આ વખતે સંજય નિરૂપમ નોર્થ વેસ્ટ મુંબઈથી લડવા ઇચ્છે છે. વર્ષ 2004માં નોર્થ મુંબઈની સીટ પર કોંગ્રેસે બોલીવુડ અભિનેતા ગોવિંદાને મેદાનમાં ઉતાર્યો હતો. આ રણનીતિ કામ આવી હતી અને ગોવિંદાએ ભાજપના કદાવર નેતા રામ નાઈકને કારમી હાર આપી હતી. ઉર્મિલાના બહાને કોંગ્રેસ 2004નો ઇતિહાસ પુનરાવર્તિત કરવા માંગે છે. ઉત્તર પ્રદેશની રામપુર બેઠક પર સમાજવાદી પાર્ટીના કદાવર નેતા આઝમ ખાનની સામે ભાજપે અભિનેત્રી જયા પ્રદાને મેદાનમાં ઉતારવાની તૈયારી કરી છે. આ પહેલા સપના ચૌધરી કોંગ્રેસમાં જોડાશે તેવી ચર્ચાએ જોર પકડ્યુ હતુ. જો કે સપના ચૌધરીએ કોંગ્રેસમાં જોડાવાની વાતને નકારી દીધી છે.