હોલીવૂડના દિગ્ગજ ફિલ્મ નિર્માતા હાર્વી વાઇનસ્ટીન પર બે મહિલાઓ પર બળાત્કાર અને યૌન શોષણનો આરોપ : ન્યૂયોર્ક પોલીસે કસ્ટડીમાં લઈને કોર્ટમાં રજુ કર્યા : 6.7 કરોડ રૂપિયાના બૉન્ડ પર જામીન પર છુટ્યા
ન્યૂયોર્ક : હોલીવૂડના મોટા ફિલ્મ નિર્માતા હાર્વી વાઇનસ્ટીન પર બે મહિલાઓએ બળાત્કાર અને યૌન શોષણના આરોપ મૂકતા તેમની સામે કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે. તેમણે ન્યૂયોર્ક પોલીસ સમક્ષ આત્મસમર્પણ પણ કરી દીધું હતું. જોકે બાદમાં તેમને કોર્ટમાં રજૂ કરાતા એક મિલિયન ડોલર (લગભગ 6.7 કરોડ રૂપિયા)ના બૉન્ડ પર જામીન આપવામાં આવ્યા હતા.
અમેરિકાના મીડિયામાં પહેલાથી જ સમાચાર પ્રસર્યા હતા કે તેઓ આત્મસમર્પણ કરી શકે છે. તેમની સામે અન્ય કેટલીક મહિલાઓએ પણ બળાત્કાર અને યૌન શોષણના આરોપ લગાવ્યા છે. કોર્ટમાં પ્રોસિક્યુટર જોન ઇલુઝીએ કહ્યું, "વાઇનસ્ટીને તેમના પદ, નાણાં અને સત્તાના ઉપયોગથી મહિલાઓને લલચાવી તેમનું યૌન શોષણ કર્યું. " કોર્ટમાં પેશી દરમિયાન વાઇનસ્ટીન કંઈ પણ બોલ્યા ન હતા.
પણ બીજી તરફ તેઓ આ આરોપોનો ઇન્કાર કરી રહ્યા છે. તેઓ કોઈ પણ સાથે તેની સંમતિ વગર શારીરિક સંબંધ બાંધ્યા હોવાની વાતનો ઇન્કાર કરતા આવ્યા છે. જોકે, કેટલીક મહિલાઓએ જાહેરમાં વાઇનસ્ટીન પર આરોપ લગાવ્યા બાદ આ પ્રથમ વખત તેમની પર કોઈ કેસ કરવામાં આવ્યો છે.
વાઇનસ્ટીન પર આરોપ લાગ્યા બાદ વિશ્વભરમાં #MeToo આંદોલનની શરૂઆત થઈ હતી. આ આંદોલન મહિલાઓના યૌન શોષણ વિરુદ્ધ એક પ્રદર્શન તરીકે ચલાવવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન મનોરંજન જગત સાથે જોડાયેલી કેટલીક વ્યક્તિઓ પર આરોપ લાગ્યા હતા. તાજેતરમાં જ હોલીવૂડ સ્ટાર મોર્ગન ફ્રીમેને પણ યૌન શોષણના આરોપ બાદ માફી માગી લીધી હતી.
વાઇનસ્ટીન આત્મસમર્પણ કરશે તે સમાચાર અંગે તેમના વકીલ બેન્જામિન બ્રાફમેને કોઈ પ્રતિક્રિયા નહોતી આપી. ગત વર્ષે નવેમ્બર મહિનામાં ન્યૂ યોર્ક પોલીસે કહ્યું હતું કે તેઓ અભિનેત્રી પાઝ ડે લા વારટા દ્વારા વાઇનસ્ટીન પર કરવામાં આવેલા આરોપોની તપાસ કરી રહ્યા છે. જેમાં તેઓ બળાત્કારના આરોપની પણ તપાસ થઈ રહી છે.
ત્યાર બાદ એકાએક વાઇનસ્ટીન સામે યૌન શોષણના આરોપ લગાવનાર મહિલાઓની સંખ્યા વધવા લાગી. એન્જેલીના જોલી, ગ્વાનિથ પાલ્ટ્રો સહિતની હોલીવૂડની કેટલીક અન્ય અભિનેત્રીઓએ તેમની પર આરોપ લગાવ્યા હતા.
વાઇનસ્ટીનની કારકિર્દી જોતજોતામાં ખતમ થઈ ગઈ. તેમની પ્રોડક્શન કંપનીએ પણ તેમની હકાલપટ્ટી કરી દીધી. જોકે, બાદમાં કંપનીએ નાદારી જાહેર કરવા માટેની અરજી દાખલ કરી દીધી હતી. આ તમામ ઘટનાઓને પગલે સમગ્ર ફિલ્મ ઉદ્યોગ દ્વારા વાઇનસ્ટીનની ટીકા કરવામાં આવી હતી. ઑસ્કરના આયોજકોએ પણ તેમની હકાલપટ્ટી કરી દીધી હતી. બ્રિટન અને અમેરિકામાં વાઇનસ્ટીન પર લાગેલા આરોપની પોલીસ હાલ તપાસ કરી રહી છે.
હાર્વી વાઇનસ્ટીન જ્યારે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરવા માટે ન્યૂ યોર્કના લોઅર મેનહટન વિસ્તારના પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા ત્યારે તેમના હાથમાં ત્રણ પુસ્તકો હતા. આ ત્રણ પુસ્તકોમાંથી એક એલિયા કઝાનની આત્મકથા હતી. એલિયા કઝાને વોટરફ્રન્ટ, અ સ્ટ્રીટકાર નેમ્ડ ડીઝાયર, સ્પ્લેન્ડોર ઇન ધ ગ્રાસ સહિતની ફિલ્મ દિગ્દર્શિત કરી હતી. કઝાને આજીવન ભારે ટીકા સહન કરવી પડી હતી કેમકે તેમણે 1940 અને 1950માં અમેરિકામાં સામ્યવાદી પ્રવૃત્તિઓની હાઉસ અન-અમેરિકન એક્ટિવિટીઝ કમિટી દ્વારા તપાસ કરવામાં આવી હતી તે બાબત સામે ફિલ્મમાં સવાલ સર્જયો હતો. આ તપાસને પગલે હોલીવૂડના કેટલાક અભિનેતા, દિગ્દર્શક, લેખકને બ્લેક લિસ્ટ કરી દેવામાં આવ્યા હતા. કેટલાંકની કારકિર્દી પણ ખતમ થઈ ગઈ હતી. વળી વર્ષ 1999માં કઝાનને જ્યારે ઑસ્કર મળ્યો ત્યારે પણ કેટલાકને તે ગમ્યું ન હતું. કઝાનની કહાણી નૈતિક અભિયાનનો અનાદર છે. આથી જો તેમનું પુસ્તક હાર્વીએ રાખ્યું તેઓ અર્થ તેમને કોઈ પસ્તાવો નથી.