અભિનય એ પૈસા તથા પ્રતિષ્ઠાનું માધ્યમ નથીઃ પંકજ
પંકજ ત્રિપાઠીનું કહેવું છે કે અભિનય એ મારા માટે પ્રતિષ્ઠા અને પૈસા મેળવવાનો રસ્તો નથી. પંકજ ત્રિપાઠીએ બોલીવૂડમાં સફળતા મેળવવા અનહદ મહેનત કરી છે. વર્ષ ૨૦૦૪માં આવેલી ફિલ્મ 'રન' દ્વારા બોલીવુડમાંકારકિર્દી શરૂ કરનાર પંકજને સાચી ઓળખ અનુરાગ કશ્યપની ફિલ્મ ગેંગ્સ ઓફ વાસેપુરના તેના રોલથી મળી હતી. પંકજ તેના પાત્રોને પોતાની સ્ટાઇલથી ભજવવા માટે જાણીતો છે. એવા અનેક પાત્રો છે જેણે તેને વધુને વધુ નામના અપાવી છે. વેબ સિરીઝ મિરઝાપુરના તેના કાલીન ભૈયાના રોલે તેને દર્શકોના દિલમાં મોટુ સ્થાન આપ્યું છે. પંકજ ત્રિપાઠીએ કહ્યું હતું કે અભિનય મારા માટે ફકત પૈસા અને પ્રતિષ્ઠા કમાવાનું માધ્યમ નથી. અભિનય દ્વારા હું પોતાને ઉજાગર કરું છું અને પોતાની જાતને વધુ સારી બનાવું છું. પંકજ આગામી ફિલ્મો ૮૩, બચ્ચન પાંડે અને ઓએમજી-૨માં જોવા મળવાનો છે. છેલ્લે તે મિમીમાં ક્રિતી સેનન સાથે દેખાયો હતો.