દર્શકોની ટીપ્પણીઓ ખુશ કરે છેઃ મદાલસા
ટીવી પરદાના લોકપ્રિય શોમાં સોની ટીવીનો શો અનુપમા પણ સામેલ છે. આ શોમાં કામ કરી રહેલા કલાકારો રૂપાલી ગાંગુલી, સુધાંશુ પાંડે અને તસ્નીમ નેરૂરકર કોરોનાથી સંક્રમિત થતાં શુટીંગમાં અસર પડી હતી. સિરીયલમાં કાવ્યાનો રોલ નિભાવી ઘર ઘરમાં જાણીતી બનેલી અભિનેત્રી મદાલસા શર્માએ કોરોના સામે લોકોને ચેતવતા કહ્યું હતું કે સાવધાની જ બચાવી શકે તેમ છે. માત્ર આપણું જ નહિ આપણા પરિવારજનોનું પણ આપણે ધ્યાન રાખવાનું છે. કાવ્યા આ શોમાં અનુપમા અને વનરાજનું લગ્નજીવન ભાંગી નાંખવાના ઇરાદે કાવત્રા કરતી રહે છે. જો કે આમ છતાં તેને તેના આ પાત્ર બદલ કોઇપણ ચાહકો-દર્શકો તરફથી નફરત ભરેલા સંદેશા મળ્યા નથી. તે કહે છે સોશિયલ મિડીયા પર મને મિશ્રીત સંદેશા મળે છે. કેટલીક મહિલાઓ લખે છે કે કાવ્યાનું પાત્ર સ્વતંત્ર અને મજબૂત મહિલાનું છે. તો કેટલાકની ટીપ્પણી એવી પણ હોય છે કે કાવ્યાએ આવું કામ ન કરવું જોઇએ. આ બંને ટીપ્પણીઓ મારા દિવસને ખુશનુમા બનાવી દે છે. કારણ કે બંને ટીપ્પણી મારા માટે સારી બાબત છે.