હવેથી રણવીર સિંહ ફિલ્મમાં લેશે નફાનો ભાગ...
મુંબઇ: છેલ્લી થોડી ફિલ્મો બોક્સ ઑફિસ પર હિટ નીવડયા બાદ મોખરાના અભિનેતા રણવીર સિંઘે પોતાની આગામી ફિલ્મોમાં નફામાં ભાગની માગણી કરી હોવાની માહિતી મળી હતી. ખમતીધર ફિલ્મ સર્જક કરણ જોહર જેવાને એ પોતાની માગણી ગળે ઊતારાવી શક્યો હતો અને કરણની તખ્તમાં એ મહેનતાણા ઉપરાંત નફામાં ભાગ મેળવશે. આ ઉપરાંત કબીર ખાનની ફિલ્મ '૮૩ના સર્જકો પાસે પણ રણવીરે નફામાં ભાગની માગણી કરી હોવાનું જાણવા મળ્યું હતું. આ બંને ફિલ્મ સર્જકોએ એની માગણી સ્વીકારી હોવાની માહિતી પણ મળી હતી.કરણ જોહરની રોહિત શેટ્ટી નિર્દેશિત ફિલ્મ સિમ્બા અને ઝેાયા અખ્તરની ગલી બૉય બોક્સ ઑફિસ પર હિટ નીવડયા બાદ રણવીરે શાહરુખ ખાન, આમિર ખાન, સલમાન ખાન અને અક્ષય કુમારની જેમ મહેનતાણાની સાથોસાથ નફામાં ભાગની માગણી કરી હતી જે એના ફિલ્મ સર્જકોએ સ્વીકારી હોવાનું જાણવા મળ્યું હતું.અત્રે એ યાદ રહે કે સિમ્બા અને ગલી બૉયની પહેલાં સંજય લીલા ભણસાલીની ત્રણ સુપરહિટ નીવડેલી ફિલ્મોમાં પણ રણવીરે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આવી ફિલ્મોમાં રામલીલા -ગોલિયોં કી રાસલીલા, બાજીરાવ મસ્તાની અને પદ્માવતનો સમાવેશ થયો હતો. કેટલાક ટ્રેડ પંડિતોની દ્રષ્ટિએ હવે રણવીર પણ મેગાસ્ટાર કહેવાય એવો હિટ કલાકાર બની ગયો હતો.