રાજવી પૃથ્વીરાજ ચૌહાણનો રોલ કરશે અક્ષય કુમાર
મુંબઈ:બોલિવૂડનો મોખરાનો એક્શન અને કોમેડી સ્ટાર અક્ષય કુમારજ ઇતિહાસ પ્રસિદ્ધ લડાયક રાજવી પૃથ્વીરાજ ચૌહાણનો રોલ કરશે એવા સમાચારને ખુદ ફિલ્મ સર્જક તરફથી સમર્થન સાંપડયું હતું.હાલ અક્ષય ખમતીધર ફિલ્મ સર્જક કરણ જોહરની કેસરી ફિલ્મ કરી રહ્યો છે જે બેટલ ઑફ સારગઢીની કથા પર આધારિત છે. હવે એને પૃથ્વીરાજ ચૌહાણના રોલ માટે સાઇન કરવામાં આવતાં આ એની બીજી ઐતિહાસિક ફિલ્મ બની હતી.ચાણક્ય ફેમ અભિનેતા અને ફિલ્મ સર્જક ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ અક્ષય કુમારને પૃથ્વીરાજ ચૌહાણના રોલ માટે સાઇન કર્યો હોવાના સમાચારને સમર્થન આપ્યું હતું.૨૦૧૯નું વર્ષ અક્ષય કુમાર માટે સતત બીઝી રાખનારું બની રહે એવી શક્યતા છે. આ વર્ષે એની એક સાથે ચાર પાંચ ફિલ્મો રજૂ થવાની છે. હોળી પર કેસરી રજૂ થશે તો જુલાઇમાં ગૂડ ન્યૂઝ રજૂ થવાની છે.૧૫ ઑગષ્ટે આઝાદી દિને મિશન મંગળ રજૂ થશે તો દિવાળી પર સુપરહિટ કોમેડી સિરિઝ હાઉસફૂલની ચોથી કડી રજૂ થવાની છે. વર્ષની આખરે ક્રિસમસ પર સૂર્યવંશી રજૂ થશે. આમ ચાલુ વરસે અક્ષય કુમારની પાંચ પાંચ ફિલ્મો રજૂ થશે. અત્યાર સુધી અક્ષય ખાન કલાકારોને પણ હંફાવતો આવ્યો છે. એની મોટા ભાગની ફિલ્મો ટિકિટબારી પર હિટ નીવડી છે. આ વરસે એ કેવોક દેખાવ કરે છે એ જોવાનું રસપ્રદ બની રહેશે.