મારું સ્ટારપદ સાથે લઇને ફરતો નથી: મનોજ બાજપેયી
મુંબઇ: પોતાના બળકટ અભિનય દ્વારા ફિલ્મોમાં આગવી છાપ ઊભી કરનારા અભિનેતા મનોજ બાજપેયીએ કહ્યું હતું કે હું મારા સ્ટારપદને ચોવીસે કલાક સાથે લઇને ફરતો નથી. 'હું જાણું છું કે ઓડિયન્સ પોતાના માનીતા કલાકારને રીતસર પૂજે છે અને એના પોષાક, હેરસ્ટાઇલ કે અન્ય બાબતોનું અનુકરણ પણ કરે છે. મારા પણ ચાહકો છે પરંતુ હું માનું છું કે મારા ચાહકો વ્યક્તિગત રીતે એ હકીકત જાણે છે કે હું ઓછાબોલો અને અંતર્મુખ સ્વભાવનો માણસ છું. મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના કરોડો ચાહકો છે અને એ બધા અમિતજીનું અનુકરણ કરવામાં ગૌરવ પણ અનુભવતા હશે....મારી વાત કરું તો હું મારું સ્ટારપદ સાથે લઇને ફરતો નથી. હું જાણું છું કે આજે હિટ ગણાતો કલાકાર સમયના વહેવા સાથે ભૂલાઇ જવાનો છે. નવી પેઢીના કલાકાર આવશે ત્યારે અમને પાછળ રાખી દેવાના છે' એમ મનોજે કહ્યું હતું.