મારી બાયોગ્રાફી લખવાનું કામ કોઈને આપ્યું નથી: સંજય દત્ત
મુંબઈ:અભિનેતા સંજય દત્તે તાજેતરમાં પોતાની કહેવાતી જીવનકથા લખનારા એક લેખક યાસર ઉસ્માનની ઝાટકણી કાઢી હતી અને યાસર તથા એના પ્રકાશક બંને સામે કાયદેસરનાં પગલાં લેવાની પોતાના વકીલને સૂચના આપી હતી. 'મારા ધ્યાનમાં લાવવામાં આવ્યું છે કે યાસર ઉસ્માન નામના લેખકે મારા પરિવારની લાગણી દૂભાય એવી કેટલીક હકીકતો સાથે મારી કહેવાતી બાયોગ્રાફી લખી છે. મેં કોઇને મારી બાયોગ્રાફી લખવાની પરવાનગી આપી નથી અને આ રીતે મારા પરિવારની લાગણી દૂભાય એવી કોઇ બાયોગ્રાફી હું ચલાવી લેવા માગતો નથી. લેખક અને પ્રકાશક જગરનોટ પબ્લિકેશન્સ સામે કાયદેસરનંા પગલાં લેવાની મેં મારા વકીલને સૂચના આપી છે' એમ સંજય દત્તે કહ્યું હતું. સંજયે વધુમાં કહ્યું કે મારી કહેવાતી બાયોગ્રાફીના નામે જે કેટલાક અંશો મિડિયાના કેટલાક હિસ્સામાં પ્રગટ થયા છે એ વાસ્તવમાં મારા જૂના ઇન્ટરવ્યૂ અને ગોસિપ કૉલમોમાંથી ઊઠાવાયેલા છે. એ સત્ય નથી. મારી પરવાનગી વિના કેટલાક ઇન્ટરવ્યૂના અંશો આડેધડ ઊઠાવી લેવાયા છે. આ ચાલે નહીં. અમે લેખક અને પ્રકાશક બંને સામે પગલાં લઇ રહ્યા છીએ.