અજય દેવગણ હવે પોતાની નવી ફિલ્મમાં ચાણક્યના રોલમાં જોવા મળશે
મુંબઇઃ ફિલ્મી પડદે અલગ અલગ રોલ નિભાવનારા અજય દેવગણ હવે પોતાની નવી ફિલ્મમાં ‘ચાણક્ય’ના રોલમાં જોવા મળશે. આ ફિલ્મની જાહેરાત અજય દેવગણે પોતે કરી છે. આ પહેલા અજય દેવગણે ફિલ્મ ‘રેડ’માં ઈન્કમ ટેક્સ ઓફિસરની ભૂમિકા નિભાવી હતી. તેમના આ પાત્રને દર્શકોએ વખાણ્યું હતું.
ભારતના ઈતિહાસમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવતા આચાર્ય ચાણક્યએ વિદેશી શાસક સિકંદરના આક્રમણથી ભારતને બચાવ્યું હતું. ચાણક્ય જ હતા જેમણે એક સામાન્ય બાળક ચંદ્રગુપ્તને સમ્રાટ બનાવ્યો હતો. ચાણક્યના કાળમાં પાટલીપુત્ર મગધની રાજધાની હતી. આ મહાન વ્યક્તિની જીવનગાથા હવે રૂપેરી પડદે જોવા મળશે. આ ફિલ્મને નીરજ પાંડે ડિરેક્ટ કરવાના છે.
ફિલ્મ ક્યારે રિલીઝ થશે અને અજય ઉપરાંત કયા-કયા કલાકારો ફિલ્મનો ભાગ હશે તે વિશે જાણકારી નથી પ્રાપ્ત થઈ. સૂત્રોના મતે ફિલ્મની કાસ્ટ નક્કી કરવાનું કામ ચાલુ છે. જણાવી દઈએ કે, અજય દેવગણ અફઘાનિસ્તાથી પૃથ્વીરાજ ચૌહાણની અસ્થિઓ પરત લાવનારા શેરસિંહ રાણાની બાયોપિકમાં શેરસિંહની ભૂમિકા ભજવશે. શેરસિંહ રાણા પર લૂંટ અને સાંસદ ફૂલન દેવીની હત્યાનો પણ આરોપ છે.
આ ફિલ્મ ઉપરાંત અજય દેવગણ રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિંબા’માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં રણવીર સિંહ લીડ રોલમાં છે. ‘સિંબા’માં અજય અને રણવીરની એક સ્પેશિયલ ફાઈટ સીકવન્સ પણ હશે.