કારકિર્દીથી ખુશ વાણી
વાણી કપૂરે બોલીવૂડમાં કારકિર્દી શરૂ કર્યાને છ વર્ષ વિતી ગયા છે. શુધ્ધ દેસી રોમાન્સ ફિલ્મ ૨૦૧૩માં આવ્યા પછી તેણે ૨૦૧૬માં રણવીરસિંહ સાથે બેફિક્રે કરી હતી. એ પછી તે આ વર્ષે આવેલી રિતીક અને ટાઇગરની ફિલ્મ વોરમાં પણ ખાસ રોલમાં જોવા મળી હતી. આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઇ ચુકી છે. હવે વાણી કપૂર ફિલ્મ શમશેરામાં કામ કરી રહી છે. વાણી કહે છે હું મારી કારકિર્દીથી અત્યંત ખુશ છું. મારી પાસે હાલ શમશેરા છે, જિંદગી મને જે તરફ લઇ જાય છે એ મુજબ હું જીવી રહી છું. તમને ખબર નથી હોતી કે તમારા કયા કામની પ્રશંસા થશે અને કયુ કામ લોકોને નહિ ગમે? પરંતુ મારો એક નિયમ છે કે જે પ્રોજેકટમાં કામ કરું તે સો ટકા સારી રીતે થાય તેવો પ્રયાસ કરુ છું. મારો પ્રયત્ન હોય છે કે મારા કામથી નિર્દેશક અને સમગ્ર ટીમ કદી નારાજ ન થાય. હું આળસુ બની શકતી નથી, હું મારી સાથે કામ કરનારા બીજા લોકોને કદી નિરાશ કરી શકું નહિ. હું દરેક જોનરની ફિલ્મો કરવા ઉત્સાહિત છું. દેશમાં શાનદાર નિર્દેશક છે અને સારામાં સારા ફિલ્મમેકર્સ છે. આ બધા સાથે કામ કરવાની વાણીની ખુબ જ ઇચ્છા છે.