ફિલ્મ જગત
News of Wednesday, 20th June 2018

3 ઇડિયટ્સની સિક્વલ બનાવશે રાજકુમાર હીરાની

મુંબઈ: આમિર ખાન, આર માધવન અને શર્મન જોશીને ચમકાવતી રાજકુમાર હીરાણીની હિટ ફિલ્મ થ્રી ઇડિયટ્સની સિક્વલ બનાવવાની જાહેરાત રાજકુમાર હીરાણીએ કરી હતી. જો કે એમણે એવી સ્પષ્ટતા પણ કરી હતી કે એ પહેલાં હું સંજય દત્તની સુપરહિટ ફ્રેન્ચાઇઝી મુન્નાભાઇની ત્રીજી કડી બનાવીશ. ત્યારબાદ થ્રી ઇડિયટ્સની સિક્વલ હાથમાં લઇશ. 'અમારે ખરેખર થ્રી ઇડિયટ્સની સિક્વલ બનાવવી છે. થોડા દિવસ પહેલાં અભિજિત જોશીએ થોડુંક લખ્યું પણ હતું. પરંતુ હાલ બીજાં કામોમાં વ્યસ્ત હોવાથી એ વાત આગળ વધી શકી નહીં' એમ હીરાણીએ કહ્યું હતું. હાલ હીરાણી આવતા શુક્રવારે ૨૯ જૂને રજૂ થનારી પોતાની ફિલ્મ સંજુના પ્રમોશનમાં બીઝી છે. આ ફિલ્મ સિનિયર અભિનેતા સંજય દત્તની બાયો-ફિલ્મ છે જેમાં ટોચનો અભિનેતા રણબીર કપૂર સંજય દત્ત તરીકે રજૂ થઇ રહ્યો છે. હીરાણીએ કહ્યું કે એકવાર સંજુ રજૂ થઇ જાય ત્યારબાદ અમે મુન્નાભાઇ સિરિઝની ત્રીજી ફિલ્મની સ્ક્રીપ્ટ હાથમાં લઇશું. એ પૂરું થઇ જાય ત્યારબાદ થ્રી ઇડિયટ્સની સિક્વલ હાથમાં આવશે. હાલની શિક્ષણ પદ્ધતિની ઠેકડી ઊડાવતી આ ફિલ્મ થ્રી ઇડિયટ્સ ભારત ઉપરાંત ચીનમાં પણ હિટ નીવડી હતી અને આ ફિલ્મ જોયા બાદ ચીનના વડા પ્રધાને આમિર ખાનને ચીનની મુલાકાતે આવવાનું આમંત્રણ આપ્યું હતું.

 

 

(4:24 pm IST)