બોલિવૂડના ચર્ચિત કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટના સંબંધોમાં તિરાડઃ સંબંધ તૂટવા માટે રણબીરનું વર્તન જવાબદાર
નવી દિલ્હી : બોલિવૂડના ચર્ચિત કપલમાંથી એક આલિયા ભટ્ટ અને રણબીર કપૂર લાંબા સમયથી રિલેશનશીપ અને લગ્નની ચર્ચાનો સામનો કરી રહ્યા છે. જોકે આ પરિસ્થિતિમાં લેટેસ્ટ સમાચાર આવ્યા છે કે તેમના સંબંધોમાં તિરાડ આવી ગઈ છે અને તેમણે બ્રેકઅપ કરી લીધું છે. જોકે આ બ્રેકઅપનું નક્કર કારણ સામે નથી આવ્યું પણ નજીકના મિત્રોએ જણાવ્યું છે કે આ સંબંધ તુટવા માટે રણબીરનું વર્તન જવાબદાર છે.
વેબસાઇટ બોલિવૂડલાઇફડોટકોમમાં છપાયેલા સમાચાર પ્રમાણે આલિયા સાથે રણબીરનું વર્તન યોગ્ય નહોતું અને એના કારણે બ્રેકઅપ થયું છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે હાલમાં કોરોના વાયરસના કારણે રણબીર મુંબઈમાં જ છે પણ આમ છતાં તેઓ એકબીજાને મળવાનું ટાળી રહ્યા છે. રણબીરના આવા બેજવાબદાર વર્તનને કારણે જ આલિયાએ તેને છોડવાનો નિર્ણય લીધો છે. જોકે આ બ્રેકઅપ વિશે રણબીર અને આલિયાનું કોઈ સત્તાવાર નિવેદન સામે નથી આવ્યું એટલે આ વાત અફવા પણ નીકળી શકે છે.
આલિયાએ હમણાં 15 માર્ચના દિવસે પોતાનો 27મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. આ સેલિબ્રેશન વખતે આલિયા બહેન શાહીન ભટ્ટ અને ગર્લ ગેંગ સાથે જોવા મળી હતી. જોકે આના બીજા દિવસે રણબીર અને આલિયાની એક રોમેન્ટિક તસવીર વાયરલ થઈ હતી જે નતાશા પુનાવાલાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેયર કરી હતી. આ વાયરલ તસવીરમાં અર્જુન કપૂર અને મલાઇકા અરોરા પણ જોવા મળી રહ્યા છે.