કરણ જોહરની ફિલ્મ સાઈન કરી દિલજિત દોસાંઝએ
મુંબઇ: પંજાબી ગાયક અભિનેતા દિલજિત દોસાંઝની લેટેસ્ટ ફિલ્મ સૂરમા જોઇને બે ટોચના ફિલ્મ સર્જકો કરણ જોહર અને સંજય લીલા ભણસાલી પ્રભાવિત થયા હતા અને કરણ જોહરે તો એને પોતાની આગામી એક ફિલ્મ માટે સાઇન કરી લીધો હોવાનું જાણવા મળ્યું હતું. સંજય લીલા ભણસાલી દિલજિતને પોતાની કઇ ફિલ્મમાં કેવી રીતે સમાવી લઇ શકાય એની શક્યતા વિચારી રહ્યા હોવાનું કહેવાય છે. શાહિદ કપૂરની ઊડતા પંજાબથી હિન્દી ફિલ્મોમાં પ્રવેશેલા દિલજિતે ટૂંક સમયમાં પોતાની પ્રતિભા પુરવાર કરી જણાય છે. ભારતીય હૉકીના લેજંડ સંદીપ સિંઘની બાયો-ફિલ્મ સૂરમામાં દિલજિતે સંદીપ સિંઘનો રોલ કર્યો છે. એની સાથે આ ફિલ્મમાં ટોચની અભિનેત્રી તાપસી પન્નુ ચમકી છે. ફિલ્મ ધીમી પણ મક્કમ ગતિએ હિટ થવા તરફ જઇ રહી છે. કરણ જોહરે દિલજિતને ઑફર કરેલી ફિલ્મનું ડાયરેક્શન નવોદિત રાજ મહેતા કરવાના છે. આ ફિલ્મ માટે કરણની ઇચ્છા પહેલાં રાજકુમાર રાવને લેવાની હતી પરંતુ રાજકુમાર રાવ પાસે હાલ તારીખો ખાલી નથી. એટલે કરણે એને લેવાનો વિચાર પડતો મૂક્યો હતો. હવે દિલજિત દોસાંઝ અક્ષય કુમારને હીરો તરીકે ચમકાવતી આ ફિલ્મમાં ચમકશે. અક્ષય સાથે ચમકવાનો એનો આ પહેલો અવસર છે. દિલજિતની નિકટનાં સૂત્રોએ કહ્યું કે આ રોલ ખૂબ પાવરફૂલ છે અને અક્ષયના જેવોજ રોલ છે એટલે દિલજિતને પોતાની પ્રતિભા દેખાડવાની પૂરેપૂરી તક મળશે.