મારી ઓળખ હું જાતે બનાવવા માંગુ છું: જાહન્વી કપૂર
મુંબઈ: ધડક ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઇ રહેલી જાહ્નવી કપૂરના જણાવ્યા અનુસાર આ ફિલ્મ એક મજબૂત સામાજિક સંદેશ આપે છે. તે શ્રીદેવીની પુત્રી છે અને તેની આ પહેલી ફિલ્મ છે. તેથી દર્શકોમાં ખાસ ઉત્સાહ છે, પરંતુ જ્યારે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું ત્યારે વાત ઊલટી પડી.લોકોએ ફિલ્મની તુલના ‘સૈરાટ’ સાથે કરવાનું શરૂ કર્યું, કેમ કે તે મરાઠી ફિલ્મ ‘સૈરાટ’ની હિંદી રિમેક છે એટલું જ નહીં, અલગ અલગ કારણથી લોકો જાહ્નવી કપૂર અને ઇશાન ખટ્ટરને ટ્રોલ પણ કરવા લાગ્યા. જાહ્નવીને આશા છે કે ફિલ્મ જોયા બાદ લોકોના વિચાર બદલાઇ જશે. તે કહે છે કે હું મને મળેલા પ્રેમ માટે બધાંનો આભાર માનું છું. મને આશા છે કે ફિલ્મ રિલીઝ થયા બાદ લોકોનો મત બદલાઇ જશે.
જાહ્નવીએ આ ફિલ્મમાં પોતાની છાપ છોડવા ખાસ્સી મહેનત કરી છે. ફિલ્મ સાથે જોડાયેલી ખાસ વાતોનો ઉલ્લેખ કરતાં તેણે કહ્યું કે એક્ટર હોવાનો એ ફાયદો થયો કે અમને બીજી જગ્યા પર જવાનો મોકો મળે છે. તેમના કલ્ચરને જાણવાનો અવસર મળે છે.‘ધડક’ના શૂટિંગ પહેલાં હું એકાદ-બે વાર ઉદયપુર ગઇ હતી, પરંતુ ક્યારેય વધુ બહાર જવાનો મોકો મળ્યો નહોતો. શૂટિંગ દરમિયાન મેં ઘણો સમય ત્યાં વીતાવ્યો. ત્યાંની રહેણીકરણી અને કલ્ચરને સમજવા પ્રયત્ન કર્યો. હું મારી ઓળખ ખુદ બનાવવા ઇચ્છું છું. લોકોને મારી પાસેથી ખાસ્સી અપેક્ષાઓ છે અને હું તેમને નિરાશ કરવા ઇચ્છતી નથી.