કબીરસિંહની સફળતા પછી શાહિદ કપૂર રૂપેરી પડદે ધૂમ મચાવવા તૈયારઃ ‘જર્સી' ફિલ્મ 5 નવેમ્બરના દિવાળીએ રિલીઝ થશે
અમદાવાદઃ તમે શાહિદ કપૂરના ફેન છો તો આ ખબર તમારા માટે છે. કબિરસિંહ ફિલ્મની સફળતા બાદ શાહિદ કપૂર ફરી એકવાર સિલ્વર સ્ક્રીન પર ધૂમ મચાવવા માટે તૈયાર છે. શાહિદની આગામી ફિલ્મ જર્સીની તેમના ચાહકો આતૂરતાથી રાહ જોઈ રહ્યાં છે. ત્યારે કોરોના કાળમાં આ ફિલ્મનું શૂટિંગ પુરુ કર્યા બાદ શાહિદે ફિલ્મને લઈને ટ્વીટ કર્યું છે.
શાહિદ કપૂરે રવિવારે જાહેરાત કરી હતી કે, આવનાર સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ 'જર્સી' દિવાળી પર જ રીલિઝ થશે. પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શાહિદે લખ્યું કે, 'જર્સી પાંચ નવેમ્બર 2021ના રોજ દિવાળી પર થિએટરમાં રીલિઝ થશે. એવી મુસાફરી જેના પર મને ગર્વ છે. આ ટીમ માટે છે.'
તેલુગુ ફિલ્મની રિમેક છે જર્સી
શાહિદની કબિરસિંહ ફિલ્મ પણ સાઉથની રિમેક હતી એ જ રીતે આગામી ફિલ્મ જર્સી પણ સાઉથની ફિલ્મની રિમેક છે. આ ફિલ્મમાં શાહિદની વિરુદ્ધ લીડ એક્ટ્રેસ મૃણાલ ઠાકુર છે. ડિરેક્ટર Gowtham Tinnanuri ની આ ફિલ્મમાં પંકજ કપૂર પણ મહત્વના રોલમાં છે. આ ફિલ્મ 'જર્સી' ક્રિટિકલી એક્લેમ્ડ અને કોમર્શિયલ સક્સેસફૂલ તેલુગુ ફિલ્મની રીમેક છે.
કોરોના કાળમાં પુરું થયું ફિલ્મનું શૂટિંગ
નોંધનીય છે કે, ટીમે ડિસેમ્બર 2020માં શૂટિંગ પૂરું કર્યુ હતું. જેની જાણકારી પોતે શાહિદે જ સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ દ્વારા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કોવિડ દરમિયાન 47 દિવસનું શૂટિંગ ચાલ્યું હતું.
દિવાળી પર દર્શકોને મળશે અનોખી ભેટ
ફિલ્મના પ્રોડ્યૂસર અમન ગિલે એક નિવેદનમાં કહ્યું કે, 'દિવાળી વર્ષનો સૌથી મોટો તહેવાર છે અને આ જર્સી દર્શકો સામે રજૂ કરવાનો આ પર્ફેક્ટ ટાઈમ છે. એ સમયે પરિવારના દરેક લોકો સાથે મળીને આ મુસાફરીને સેલિબ્રેટ કરી શકે છે.'