મારી કારકિર્દીમાં મારા પિતાને શા માટે વચ્ચે લાવો છો: રણવીર સિંહ
મુંબઈ:મોખરાના અભિનેતા રણવીર સિંઘે કહ્યું હતું કે કેટલાક વિઘ્નસંતોષીઓ મારી કારકિર્દી સાથે મારા પિતાનું નામ જોડીને મને અપસેટ કરી રહ્યા હતા.તાજેતરમાં એવી વાત ઊડી હતી કે રણવીર સિંઘની પહેલી ફિલ્મ ૨૦૧૦માં રજૂ થયેલી યશ રાજની બેન્ડ બાજા બરાતનો સર્જન ખર્ચ રણવીરના પિતાએ આપ્યો હતો કારણ કે એ પોતાના પુત્રને હીરો બનાવવા માગતા હતા.૨૦૧૦માં આવેલી બેન્ડ બાજા બરાત ફિલ્મ પછી છેલ્લાં નવ વર્ષમાં રણવીરે ખાસ્સી લાંબી મજલ કાપી હતી અને બહુ ઓછા સમયમાં એ ટોચના કલાકારોની યાદીમાં સ્થાન મેળવી ચૂક્યો હતો. રણવીરની છેલ્લી ચાર પાંચ ફિલ્મો બોક્સ ઑફિસ પર ટંકશાળ જેવી સાબિત થઇ હતી જેમાં સંજય લીલા ભણસાલીની ત્રણે ત્રણ ફિલ્મો રામલીલા-ગોલિયોં કી રાસલીલા, બાજીરાવ મસ્તાની અને પદ્માવતનો સમાવેશ થયો હતો. જો કે તાજેતરમાં રજૂ થયેલી રણવીરની રોહિત શેટ્ટી નિર્દેશિત ફિલ્મ સિમ્બાએ બોક્સ ઑફિસ પર ધાર્યો બિઝનેસ નોંધાવ્યો નથી એવું તારણ ટ્રેડ પંડિતોએ કાઢ્યું હતું. રણવીર સિંઘે કહ્યું કે મારા પિતાને મારી ફિલ્મ કારકિર્દી સાથે કશી લેવાદેવા નથી તો પછી મારા પિતાને શા માટે વચ્ચે લાવવામાં આવ્યા અને આ વાત કોણે વહેતી કરી એ મને સમજાતું નથી.