લેખકોનું મહત્વ વધુ હોય છે ફિલ્મ સર્જનમાં:અમિતાભ બચ્ચન
મુંબઈ:મેગાસ્ટાર અમિતાભ બચ્ચને કહ્યું હતું કે ફિલ્મ સર્જનમાં લેખકોનું પ્રદાન ખૂબ મહત્ત્વનું રહ્યું છે. એ હકીકતનો અસ્વીકાર કરી શકાય એમ નથી.તાતા લિટરેચર લાઇવમાં મેગાસ્ટાર બોલી રહ્યા હતા. એમણે કહ્યું કે મારા કવિ પિતા ડૉક્ટર હરિવંશ રાય બચ્ચન જ્યારે કોઇ નવી કવિતા લખતા ત્યારે સૌથી પહેલાં અમને કુટુંબીજનો સમક્ષ પઠન કરીને સંભળાવતા.'ઘણીવાર પોતે જે રીતે પઠન કર્યું હોય એ રીતે અમને એજ લય-છંદમાં કાવ્યપઠન કરવાનું કહેતા. વ્યાવસાયિક અભિનેતા તરીકેની મારી કારકિર્દીમાં એ કાવ્યપઠને બહુ મહત્ત્વનો ફાળો આપ્યો છે. કયા શબ્દ પર કેટલો ભાર મૂકવો, કયા શબ્દનો કેવી રીતે ઉચ્ચાર કરવો, કયા શબ્દને કેટલું મહત્ત્વ આપવું એ કલા હું મારા પિતાના કાવ્યપઠન પરથી શીખ્યો છું.' અન્ય એક ઇવેન્ટમાં અમિતાભે પોતાની અભિનેત્રી કમ પોલિટિશ્યન પત્ની જયા બચ્ચન સાથે એક પુસ્તકના લોકાર્પણમાં હાજરી આપી હતી અને ત્યાં પણ તેમણે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. અમિતાભે કહ્યું કે સમીક્ષકો પણ મહત્ત્વનાં છે. તમારી કૃતિની સમીક્ષા થાય એનો અર્થ એ કે તમારી કૃતિને કોઇએ માણી છે. એનો આસ્વાદ લીધો છે. એટલે હું સમીક્ષકોને પણ પૂરતા મહત્ત્વના ગણું છું.