ઠગ્સ ઑફ હિન્દુસ્તાન પૂર્ણ કર્યા પછી બ્રેક લેશે આમિર ખાન
મુંબઇ: સુપર સ્ટાર ફિલ્મ સર્જક આમિર ખાન યશ રાજની ઠગ્સ ઑફ હિન્દુસ્તાન ફિલ્મ પૂરી કર્યા બાદ બ્રેક લેવા વિચારી રહ્યો હોવાની જાણકારી મળી હતી.
આમિરની નિકટનાં સૂત્રોએ કહ્યું કે લાંબા સમયથી આમિરે એક પણ બ્રેક લીધો નથી. એણે ઠગ્સ ઑફ હિન્દુસ્તાનનું પોતાનું મોટા ભાગનું કામ પૂરું કર્યું છે. એનો વિચાર લાંબો બ્રેક લેવાનો છે. એ પોતાના કુટુંબીઓ સાથે સમય વીતાવવા માગે છેે. જો કે આ બ્રેક દરમિયાન એ સાવ નવરો નહીં બેસી રહે. પોતાની સર્જનાત્મક શક્તિને સુપરહિટ ટીવી શો સત્યમેવ જયતે અને પાની ફાઉન્ડેશન જેવાં બીજાં કાર્યોમાં એ વીતાવવા માગે છે.ઠગ્સ ઑફ હિન્દુસ્તાનમાં એ પહેલીવાર મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાથે ચમકી રહ્યો છે. અગાઉ એવા અહેવાલ હતા કે એ વિરાટ પાયે મહાભારતની કથા પર આધારિત મેગા ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. આ ફિલ્મનંુ બજેટ ૧૦૦૦ કરોડથી પણ વધુ રહેશે અને એમાં બોલિવૂડના બેસ્ટ કલાકારો વિવિધ પાત્રો ભજવશે. સાઉથની મેગાહિટ ફિલ્મ બાહુબલિના ડાયરેક્ટર એસ એસ રાજામૌલિ આ ફિલ્મનું ડાયરેક્શન સંભાળશે. ભગવાન કૃષ્ણના પાત્ર માટે સલમાન ખાનનું નામ પણ બોલાયું હતું. જો કે આમિરે પોતે આ પ્રોજેક્ટ વિશે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી.