આમિર ખાને ફિલ્મ મોગલની સ્ક્રિપ્ટમાં કર્યા સુધારા
મુંબઇ:બોલિવૂડમાં મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે ઓળખાતા સુપર સ્ટાર અને ફિલ્મ સર્જક આમિર ખાને કેસેટ જગતમાં ક્રાન્તિ સર્જનારા ટી સિરિઝના સ્થાપક ગુલશન કુમારની ફિલ્મ સ્વીકારતાંજ સ્ક્રીપ્ટમાં મોટા ફેરફાર કરાવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ગુલશન કુમારની હત્યામાં સંગીતકાર જોડી નદીમ શ્રવણમાંનો નદીમ સંડોવાયો હતો અને એના અન્ડરવર્લ્ડના સંપર્કોએ ગુલશન કુમારની હત્યા કરી હતી એ જગજાહેર છે. પરંતુ કોઇ અકળ કારણે આમિરે ભૂષણ કુમારને સમજાવ્યો હતો કે આપણે નદીમને ભૂંડો ચીતરવો નથી અને એના અન્ડરવર્લ્ડના સંપર્કોની વાત પણ ફિલ્મમાં કરવી નથી. મારો આ વિચાર તમને સ્વીકાર્ય હોય તો આપણે આગળ વધીએ. અક્ષય કુમાર જેવા ટોચના અભિનેતાએ મોગલ ફિલ્મ છોડી દીધી હોવાથી ભૂષણ કુમાર કોઇ પણ ભોગે અન્ય સુપર સ્ટાર પાસે આ ફિલ્મ કરાવવા માગતો હતો. એ અક્ષય કુમારને દેખાડી દેવા માગે છે કે તમારા વિના પણ હું મારા પિતાની બાયો-ફિલ્મ બનાવી શકું છું. એટલે એણે નક્કર હકીકતોને તડકે રાખીને આમિરની શરતો સ્વીકારી લીધી હતી અને હવે આમિર મોગલમાં હીરો ઉપરાંત સહનિર્માતા પણ હશે એવી જાણકારી મળી હતી. હકીકતમાં નદીમ નિર્દોષ હોય તો આજે લગભગ બે દાયકા થવા આવ્યા, એ વિદેશોમાં કેમ ફરતો રહે છે ? એ સ્વદેશમાં પાછો કેમ આવતો નથી એ વિચારવા જેવો સવાલ છે.