તમિલ કોમેડી ડ્રામા ફિલ્મ ૩૬ વાયાધિનિલેની હિન્દી રીમેકમાં કામ કરશે વિદ્યા બાલન
મુંબઈ: ડર્ટી પિક્ચર, કહાની, પા અને તુમ્હારી સુલુ જેવી ફિલ્મોમાં પોતાના અભિનયથી તમામને પ્રભાવિત કરનાર બોલીવુડ અભિનેત્રી વિદ્યા બાલન હવે એક્ટર-પોલિટિશિયન નંદમૂરી તારક રામરાવની બાયોપિકમાં નજરે પડશે. આ ફિલ્મમાં તે એનટીઆરની પત્ની બાસવ તારકમની ભૂમિકામાં નજરે પડશે.ત્યારે હવે એવા પણ સમાચાર સામે આવ્યા છે કે, વિદ્યા બાલનને તમિલ કોમેડી ડ્રામા ફિલ્મ ૩૬ વાયાધિનિલેની હિન્દી રીમેક માટે સાઈન કરવામાં આવી છે.જોકે હજી સુધી વિદ્યા બાલન દ્વારા આ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આ તમિલ ફિલ્મ ૨૦૧૫માં રીલીઝ થઈ હતી, જેને સુપરસ્ટાર સૂર્યાએ પ્રોડયુસ કરી હતી.
ફિલ્મની વાર્તા એક ૩૬ વર્ષીય ગૃહિણીના જીવન પર આધારીત છે, જેણે પતિ અને પુત્રી માટે પોતાના સપનાઓ કુરબાન કરી દીધા હતા અને બાદમાં તે પોતાની જાતને ફરી શોધવાની યાત્રા પર નીકળી પડે છે. આ ફિલ્મને દર્શકો અને ક્રિટિક્સે ખૂબ પસંદ કરી હતી. ત્યારે હવે તેની હિન્દી રીમેક બનાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે. ૩૬ વાયાધિનિલેની હિન્દી રીમેક પણ રોશન એન્ડ્રુયઝ જ ડાયરેક્ટ કરશે, જેમણે તમિલ ફિલ્મને ડાયરેક્ટ કરી હતી.