કંગના રનૌતની ફિલ્મ મણિકર્ણિકા ફરી વિલંબમાં
મુંબઇ : અભિનેત્રી નેશનલ એવોર્ડ વિજેતા કંગના રનૌતને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ મણીકર્ણિકા ફરી એકવાર વિલંબમાં પડી હોવાની માહિતી મળી હતી. અગાઉ આ ફિલ્મ માટે એવી જાહેરાત થઇ હતી કે એ ચાલુ વર્ષના એપ્રિલની ૨૭મીએ રજૂ થશે. પરંતુ ફિલ્મ પૂરી થઇ નહોતી અને અગાઉથી રિલિઝ ડેટ જાહેર કરી દેવામાં આવી હતી એટલે સ્વાભાવિક રીતે જ આખુંય યુનિટ ટેન્શનમાં આવી ગયું હતું. ત્યારબાદ એવી જાહેરાત કરાઇ હતી કે ફિલ્મ પંદરમી ઑગષ્ટે રજૂ થશે. પરંતુ હવે એમ લાગે છે કે સ્વાતંત્ર્ય દિને પણ મણીકર્ણિકા રજૂ થવાની શક્યતા નથી. જાણકાર વર્તુળોના કહેવા મુજબ આ ફિલ્મ નવેંબર પહેલાં રજૂ થવાની કોઇ શક્યતા નથી. આમ થવા પાછલના કારણની જાહેરાત કરાઇ નહોતી. આ તો સાઉથના ભગવાન રજનીકાંતની ૨.૦ ફિલ્મ જેવી સ્થિતિ થઇ છે. અગાઉ આ ફિલ્મ કેતન મહેતા બનાવવાના હતા અને એમણે સારું એવું સંશોધન પણ કરાવ્યુ ંહતું. પરંતુ કેતન મહેતાની તબિયત નરમ ગરમ રહેતી હતી એનો લાભ લઇને કંગનાએ એ સંશોધનની વિગત મણીકર્ણિકા ફિલ્મના રોલ માટે કામમાં લઇ લીધી અને કેતન મહેતાને રખડાવી દીધા.