કોમેડી કરવી સૌથી અઘરી વસ્તુ છે: શ્રેયસ તાલપડે
મુંબઈ:અભિનેતા શ્રેયસ તાલપડેએ કહ્યં હતું કે એક્શન કે રોમાન્સ કરતાં કોમેડી કરવી મુશ્કેલ છે. કોમેડીમાં સંવાદફેંકની છટા અને ટાઇમિંગ બહુ મહત્ત્વનાં છે. ઇકબાલ અને દોર જેવી ફિલ્મોમાં મહત્ત્વના રોલ કરી ચૂકેલા શ્રેયસની ઇમેજ કોમેડી સ્ટાર તરીકે બંધાઇ ચૂકી છે. એણે થોડીક કોમેડી ફિલ્મો જતી પણ કરી હતી. 'જોલી એલએલબીના સર્જકો કહે છે કે મેં એમની ફિલ્મ નકારી કાઢી હતી. જો કે મને બરાબર યાદ નથી. પણ આવી થોડી ફિલ્મો નકારી કાઢી ત્યારે મને ડર હતો કે હું સ્ટિરિયોટાઇપ્ડ થઇ જઇશ. પરંતુ ધીમે ધીમે મને કોમેડી ફિલ્મો ગમવા લાગી.હું એવી માન્યતા પર પહોંચ્યો છું કે એક્શન કે ગંભીર રોલ કરતાં કોમેડીમાં વધુ સર્જનશીલતા જોઇએ. એમાં સંવાદો બોલવાની છટા અને ટાઇમિંગ બહુ મહત્ત્વનાં હોય છે. આંખના પલકારા જેટલીય ભૂલ થાય તો ઓડિયન્સ હસે નહીં' એમ શ્રેયસે કહ્યું હતું.મહારાષ્ટ્રની સાંસ્કૃતિક રાજધાની પૂણેમાં એક ઇવેન્ટમાં હાજરી આપતાં એણે કહ્યું હતું કે આવતા વરસે રજૂ થઇ શકે એવી એક ફિલ્મમાં હું ગંભીર રોલ કરી રહ્યો છું. ઇકબાલ અને દોર વખતે મને દર્શકોએ ગંભીર રોલમાં સ્વીકારી લીધો હતો. આ વખતે સ્વીકારે છે કે નહીં એ જોવાનું છે. દર્શકોને પસંદ પડે તો જ મેં કરેલો રોલ વાજબી ગણાય. એણે એક દાખલો આપતાં કહ્યંુ કે મેં બાળપણમાં જોયેલી મોટા ભાગની ફિલ્મોમાં શક્તિ કપૂર વિલન તરીકે રજૂ થયો હતો. પછી આવી સત્તે પે સત્તા. એમાં મેં શક્તિ કપૂરને જોયો ત્યારે મને નવાઇ લાગી કે આ વિલન અહીં શું કરે છે ? મેં એને પૂછ્યું ત્યારે એણે કહ્યું કે આ ફિલ્મમાં હું વિલન નથી, કોમેડિયન છું. આ મજા છે કામ કરવાની.