લગ્નની વાતોની અટકળોનો આલિયાએ કર્યો ખુલાસો
મુંબઇ: ટોચની અભિનેત્રી રાઝી ફેમ આલિયા ભટ્ટે કહ્યું હતું કે મારાં લગ્નની અફવાઓ પર ધ્યાન આપતાં નહીં. એ બધી વાતો નરી અફવા છે.'હાલ મારું સંપૂર્ણ ધ્યાન મારી કારકિર્દી પર છે. એટલે મારાં લગ્નની વાતો સાંભળવા મળે તો એ તરફ ધ્યાન આપતા નહીં. મારા કહેવાતા અફેર અને લગ્નની વાતો છેલ્લા થોડા સમયથી વહેતી થઇ છે એની મને જાણ છે. હું અફવાઓને સમર્થન કે રદિયો આપવામાં મારો સમય વેડફતી નથી' એમ આલિયા ભટ્ટે કહ્યું હતું. એણે કહ્યું કે મારા વિશે લોકો વાતો કરતા બંધ થાય ત્યારે હું સમજી જઇશ કે આજના સમયમાં હું સુસંગત (રિલેવન્ટ ) રહી નથી. સદ્ભાગ્યે આજે વ્યાવસાયિક દ્રષ્ટિએ અને અંગત જીવનમાં હું બહુ ખુશ છું.
છેલ્લા થોડા સમયથી આલિયા અને ટોચના અભિનેતા રણબીર કપૂર વચ્ચે અફેર ચાલી રહ્યો હોવાની વાતો બોલિવૂડની કૉકટેલ સર્કિટમાં વહેતી થઇ હતી અને બંનેનાં માતા પિતા પણ આ સંબંધને સ્વીકારતા હોવાના અહેવાલો પણ પ્રગટ થયા હતા.આલિયા હાલ કરણ જોહરની બ્રહ્માસ્ત્ર અને કલંક ફિલ્મ કરી રહી છે. બ્રહ્માસ્ત્રમાં એની સાથે રણબીર કપૂર અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચન ચમકી રહ્યા છે. કલંકમાં વરુણ ધવન સાથે એ ચમકી રહી છે.એણે કહ્યું કે તમે કેમેરા સામે હો ત્યારે તમે કોની સાથે ડેટિંગ કરી રહ્યા છો કે તમારા અંગત જીવનમાં શું બની રહ્યું છે એનું જરા પણ મહત્ત્વ રહેતું નથી. તમારે માત્ર તમારા પાત્રને જીવી જવાનું હોય છે.