બિગબોસ-11 વિજેતા શિલ્પા શિંદેએ નિર્માતા સામેનો કેસ પાછો ખેંચ્યો
મુંબઈ:બિગબોસ-૧૧ની વિનર રહી ચુકેલ શિલ્પા શિંદે ફરી એકવાર ચર્ચામાં છે. સુત્રોનુ માનીએ તો શિલ્પાએ ભાભીજી ઘર પે હૈના પ્રોડયુસર સામે કરેલ યૌન શોષણનો કેસ પાછો ખેંચી લીધો છે. શિલ્પાએ ગત વર્ષે માર્ચ મહિનામાં આ કેસ દાખલ કર્યો હતો.
શિલ્પાને ભાભીજી ઘર પર હૈ સિરીયલથી લોકપ્રિયતા મળી હતી. જોકે તેણે આ શો અધવચ્ચે જ છોડી દીધો હતો. જેથી શોના પ્રોડયુસરે તેના પર અનપ્રોફેશનલ હોવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ શિલ્પાએ પ્રોડયુસર બેનીફરના પતિ સંજય કોહલી પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. શિલ્પાએ સંજય કોહલી પર તેની મજબુરીનો ફાયદો ઉઠાવવાનો અને ખોટા ઈરાદે છેડતી કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. એટલુ જ નહીં શિલ્પાએ એ પણ જણાવ્યુ હતું કે સંજયે તેને ધમકી આપી હતી કે જો તે આ અંગે કોઈને કહેશે તો તેને આ શોમાંથી હાંકી કાઢવામાં આવશે.
શિલ્પાએ શો છોડયા બાદ બેનીફર સાથેની તેની લડાઈ ખૂબ જ વધી ગઈ હતી. એટલા સુધી કે ટીવી પ્રોડયુસર એસોસીએશને પણ શિલ્પાનો બાયકોટ કર્યો હતો. ત્યારે હવે તેને આ વિવાદ ઉકેલવા કેસ પાછો ખેંચ્યો છે. શિલ્પાનુ કહેવુ હતું કે શોમાં મારા જે પૈસા બાકી લેવાના નીકળતા હતા તે હવે મને મળી ગયા છે, જેથી હવે વિવાદને આગળ વધારવાનો કોઈ મતલબ નથી.