ફિલ્મ જગત
News of Tuesday, 13th February 2018

'પેડમેન' પછી હવે અક્ષય બનશે 'મિલ્કમેન'

મુંબઈ:ફિલ્મ પેડમેનની રીલીઝ અને ફિલ્મને મળી રહેલ દર્શકોના પ્રતિસાદ બાદ હવે અભિનેતા અક્ષય કુમાર પાસે વધુ એક બાયોપિકની ઓફર આવી છે. સુત્રોના જણાવ્યા મુજબ, મિલ્કમેનના નામથી જાણીતા ડો.વર્ગીસ કુર્રીયનના જીવન પર બની રહેલ ફિલ્મમાં અભિનેતા અક્ષય કુમાર મુખ્ય પાત્રમાં નજરે પડી શકે છે. ડો.કુર્રીયનને શ્વેતક્રાંતિના પ્રણેતા તરીકે પણ ઓળખવામાં આવે છે. 

 

એક્તા કપૂરે ડો.વર્ગીસ કુર્રીયનની જીવન પર આધારીત પુસ્તકના રાઈટ્સ ખરીદી લીધા છે અને તે ટૂંક સમયમાં કુર્રીયનના જીવનને બાયોપિક ફિલ્મ દ્વારા રુપેરી પડદે રજુ કરે તેવી યોજના ધરાવે છે. એક્તા કપુર ફિલ્મમાં કુર્રીયનના પાત્ર માટે અક્ષય કુમારને લેવાની ઇચ્છા ધરાવે છે અને માટે તેણે અક્ષયનો સંપર્ક પણ સાધ્યો હોવાનુ જાણવા મળ્યુ છે. 
અક્ષયકુમારે ગત વર્ષે ટોયલેટ એક પ્રેમકથા અને હાલમાં રીલીઝ થયેલ પેડમેન જેવા સામાજિક મુદ્દાઓને ઉજાગર કરતી ફિલ્મો કરી છે. તે જોતા એક્તા કપુર અક્ષયકુમારને પોતાની આગામી ફિલ્મ માટે ફિટ માની રહી છે. જોકે હજી સુધી અક્ષય કુમાર દ્વારા ફિલ્મ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. એક્તા કપુરની ફિલ્મનું ડાયરેક્શન શ્રીનારાયણસિંહ કરશે.

(5:01 pm IST)