મને કોઇ કલાકાર સાથે કામ કરવામાં વાંધો નથી: રિચા ચઢ્ઢા
મુંબઇ: ફિલ્મ સર્જક અશ્વિની આયર તિવારીની આગામી ફિલ્મ પંગા અંગે બોલતાં અભિનેત્રી રિચા ચડ્ડાએ કહ્યું હતું કે મને કોઇ કલાકાર સાથે કામ કરવામાં વાંધો નથી.'હું એક વ્યાવસાયિક અભિનેત્રી છું. કોઇ પણ નાના મોટા કલાકાર સાથે કામ કરવાની મારી તૈયારી હોય છે. કંગના રનૌત અને મણીકર્ણિકા ફિલ્મના વિવાદ અંગે હું વિગતો જાણતી નથી. પરંતુ મને એવી વાતોમાં રસ નથી. હું વિવાદોમાં પડવા માગતી નથી. મારું કામ મને સોંપાયેલો રોલ પૂરેપૂરી નિષ્ઠાથી કરવાનું છે' એમ રિચાએ કહ્યું હતું.અશ્વિનીની આ ફિલ્મ કબડ્ડીની રમત અંગે છે. કંગના રનૌતને મુખ્ય રોલ માટે સાઇન કરવામાં આવી હતી. આ ફિલ્મમાં સિનિયર અભિનેત્રી નીના ગુપ્તા, પંકજ ત્રિપાઠી અને જસ્સી ગીલ પણ ચમકી રહ્યાં છે. કબડ્ડીની રમતને કેન્દ્રમાં રાખીને એની સ્ક્રીપ્ટ તૈયાર કરવામાં આવી છે. ઔરિચાએ કહ્યું કે મને અશ્વિનીએ સ્ટોરીલાઇન સંભળાવી ત્યારબાદ મેં ફિલ્મ સાઇન કરી હતી. આ ફિલ્મ સ્પોર્ટલક્ષી હોવાથી મને એમાં રસ પડયો હતો. સહકલાકાર કોણ છે એની સાથે મને નિસ્બત નથી કારણ કે મારે કોઇ સાથે અણબનાવ કે ઝઘડો નથી. મારું કામ મને સોંપાયેલા પાત્રને પ્રમાણિક રીતે રજૂ કરવાનું છે. કોઇની સાથે અહંક્લેશ કરવામાં મને રસ નથી.