'સંજુ'ને લઈને રાજકુમાર હિરાણીએ કર્યો ખુલાસો
મુંબઇ: મોખરાના ફિલ્મ સર્જક રાજકુમાર હીરાણીએ કહ્યું હતું કે સંજય દત્તના સંજોગોને યોગ્ય સંદર્ભમાં સમજાવવા અને સંજય દત્ત માટે સહાનુભૂતિ જગાડવા માટે સંજુ ફિલ્મમાં અમે કેટલુંક ખોટ્ટું ઉમેરણ કર્યું હતું.અભિનેતા રણબીર કપૂરને મુખ્ય ભૂમિકામાં રજૂ કરતી સંજુ ફિલ્મે બોક્સ ઑફિસ પર કેટલીક અગાઉની ફિલ્મોના રેકર્ડ તોડી નાખ્યા હતા. જો કે ત્યારબાદ સંજયને નિકટથી પિછાણતા કેટલાક લોકો, પત્રકારો અને સંજય સાથે કામ કરી ચૂકેલા ફિલ્મ સર્જકોએ જાહેરમાં ટીકા કરી હતી કે આ ફિલ્મ સત્યથી વેગળી છે. આમાં સંજય દત્તને સજ્જન તરીકે ચીતરવાનો સભાન પ્રયાસ થયો છે.આવી ટીકાઓ થઇ ત્યારે રાજકુમાર હીરાણી કે ફિલ્મ સાથે સંકળાયેલા લોકોએ મૌન સેવ્યું હતું. પરંતુ હવે ફિલ્મે ધાર્યો બિઝનેસ કરી લીધો છે ત્યારે રાજકુમાર હીરાણીએ મોં ખોલ્યું હતું કે અમે શરૃમાં કેટલાક લોકોને વાસ્તવિકતાથી ભરપુર ફિલ્મ દેખાડી હતી. પરંતુ એ લોકોને ગમી નહોતી એટલે અમને થયું કે સંજય દત્ત પ્રત્યે સહાનુભૂતિ પ્રગટે એ રીતે ફિલ્મ રજૂ કરવી જોઇએ. પરિણામે અમે કેટલોક હિસ્સો પાછળથી ઉમેર્યો હતો. દાખલા તરીકે કોર્ટના ચુકાદા પછી સંજય આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે છે એેવું વાસ્તવમાં બન્યું નહોતું. આ ફિલ્મે ૩૪૨ કરોડની ધરખમ આવક કરી હતી. સલમાન ખાનની એક થા ટાઇગર અને આમિર ખાનની થ્રી ઇડિયટ્સ જેવી ફિલ્મોની આવકના રેકર્ડ આ ફિલ્મે તોડી નાખ્યા હતા.