ગંભીર નહિ હવે કોમેડી પાત્રો કરવા છે અમિતને
મિરઝાપુર, હોસ્ટેજીસ, કાઠમંડુ કનેકશન, એ સિમ્પલ મર્ડર, ડમેજ્ડ અને બીજા એવા ઘણા શો કે જેમાં મોટે ભાગે અભિનેતા અમિત સિયાલ અત્યંત ગંભીર પ્રકારના રોલમાં જ જોવા મળ્યો છે. અમિતે કબુલ કર્યુ હતું કે સતત આવા પાત્રો ભજવવાને કારણે મગજ પર તેની ખુબ અસર પડે છે. મોટા ભાગના શોમાં તેણે પોલીસના પાત્રો જ ભજવ્યા છે. અમિત કહે છે હવે મારી ઇચ્છા આવા પોલીસ અધિકારીઓના પાત્રો ભજવવાની જરાય નથી. હવે મારે કોમેડી પણ કરવી છે. આવા ગંભીર પ્રકારના પાત્રોથી હવે થોડો સમય મારે દૂર થઇ જવું છે. આવા પાત્રો મારા મગજ પર સીધી અસર કરી રહ્યા છે. ડાર્ક કોમેડી કરવા મળશે તો એના માટે પણ મારી તૈયારી છે. અભિનેતાને સ્ટીરીયોટાઇપ બનાવી દેવામાં આવે છે. આ કારણે મને સતત પોલીસના પાત્રો જ મળતાં રહ્યા છે. ઓફર આવતી રહે છે અને હું ના નથી કહી શકતો. દર્શકોએ મારા આવા પાત્રોને ખુબ પ્રેમ પણ આપ્યો છે. પરંતુ મગજ પર અવળી અસર થઇ રહી હોવાથી થોડો સમય હું આવા પાત્રો કરવા ઇચ્છતો નથી. કાનપુરનો આ અભિનેતા ૨૦૦૬થી અભિનયની દુનિયામાં છે.