ફિલ્મ જગત
News of Wednesday, 13th January 2021

સત્ય સાંઇબાબાની ભૂમિકા ભજવશે સમ્રાટ અનૂપ જલોટા

ફિલ્મમાં તેમની સાથે જેકી શ્રોફ, સાધિકા રંધાવા, ગોવિંદ નામદેવ અને અરૂણ બક્ષી લીડ રોલમાં જોવા મળશે

મુંબઇ,તા. ૧૩: સિંગર અને 'બિગ બોસ'ના ભૂતપૂર્વ કન્ટેસ્ટન્ટ અનુપ જલોટા આગામી એક ફિલ્મમાં સત્ય સાઈ બાબાના પાત્રમાં જોવા મળશે. વિકી રાણાવત દ્વારા આ ફિલ્મને ડિરેકટ કરવામાં આવશે. સત્ય સાંઈબાબાના જીવન પર બની રહેલી ફિલ્મમાં તેમનું પાત્ર અનુપ જલોટા ભજવશે.

સત્ય સાંઈબાબા વિશે અનુપ જલોટાએ કહ્યું હતું કે 'હું જયારે પણ તેમને મળતો તો તેઓ મને છોટે બાબા કહીને બોલાવતા હતા. હું તેમને પૂછતો હતો કે તેઓ કેમ આ નામે બોલાવે છે અને તેઓ કહેતા હતા કે એક દિવસ એનો અહેસાસ થશે. હવે મને જાણ થઈ કે તેઓ મને હંમેશાં શું કામ છોટે બાબા કહેતા હતા. મને લાગે છે કે ઓન-સ્ક્રીન તેમનું પાત્ર ભજવવા માટે હું જ નિમિત્ત્। બનવાનો હતો.'

જલોટાએ તેમના આ પાત્ર વિશે કહ્યું હતું કે, 'સત્ય સાઈ બાબાનું પાત્ર ભજવવાની મને તક મળી હોવાથી હું ખૂબ જ ખુશ છું. કેમ કે, મને તેમના આદર્શો અને સિદ્ઘાંતોમાં વિશ્વાસ છે. વળી, મેં તેમના વિશે ખૂબ વાચ્યું પણ છે.' આ ફિલ્મમાં તેમની સાથે જેકી શ્રોફ, સાધિકા રંધાવા, ગોવિંદ નામદેવ અને અરુણ બક્ષી લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ હિન્દી, મરાઠી, ઇંગ્લિશ અને તેલુગુમાં ૨૨ જાન્યુઆરીએ રિલીઝ થશે.

(9:59 am IST)