ફિલ્મ જગત
News of Monday, 12th April 2021

ટીવી શો સામાજીક સંદેશા પણ આપે છેઃ સુધા ચંદ્રન

ટીવી અને ફિલ્મોના અભિનેત્રી સુધા ચંદ્રન હાલમાં ક્રાઇમ શો કરી રહી છે. દંગલ ચેનલના 'ક્રાઇમ એલર્ટ' શોમાં સુધા સંચાલક તરીકે કામ કરી રહી છે. એન્કર તરીકે તે પહેલી વાર જોવા મળી   છે. સુધાએ કહ્યું હતું કે આ શોનું એન્કરીંગ કરીને મેં એ જાણ્યું છે કે અપરાધ-ગુનાખોરીનું કોઇ પેરામિટર હોતું નથી. ગુનાની કહાનીઓનું વર્ણન કરવાથી હું માનસિક અને ભાવનાત્મક રીતે પરેશાન થઇ જાવ છું. ગુનાખોરી માત્ર અભણ લોકો જ આચરે એવું નથી, ખુબ ભણેલા ગણેલા પણ અપરાધ કરતાં હોય છે. તમે વિચારી પણ શકતાં નથી કે કોઇ માણસ કેટલી હદ સુધી જઇ શકે છે. અપરાધનો મતલબ હમેંશા હત્યા જ નથી હોતો. એક કહાની અમે એવી પણ કરી હતી જેમાં એક યુવાન બોલીવૂડના સપના લઇને આવે છે. પરંતુ ખોટા રસ્તે ચડી જાય છે અને રૂપિયા ગુમાવે છે. આ પણ એક ગુનાખોરી છે. સુધા આગળ કહે છે ટીવી શો એ માત્ર મનોરંજન પર ધ્યાન કેન્દ્રીત નથી કરતાં, સાથો સાથ સામાજીક સંદેશા આપે છે અને લોકોને જાગૃત પણ કરે છે. ક્રાઇમ એલર્ટ સોમથી શનિ બપોરે સાડા બારે દંગલ પર રજૂ થાય છે.

(10:22 am IST)