ફિલ્મ ‘મેરે પ્યારે પ્રાઇમ મિનિસ્ટર’નું ટ્રેલર રીલીઝ
મુંબઈ:વિવાદોમાં ચાલી રહેલી ફિલ્મ ‘મેરે પ્યારે પ્રાઇમ મિનિસ્ટર’નું ટ્રેલર રીલીઝ થઇ ગયું છે. રાકેશ ઓમપ્રકાશ મેહરાની આ ફિલ્મની વાર્તાનો કૉન્સેપ્ટ વિવાદોમાં છે. ફિલ્મનાં ટ્રેલરને વખાણવામાં આવ્યું છે. ફિલ્મ સ્વચ્છતા પર આધારિત છે. 2.30 મિનિટનું આ ટ્રેલર દર્શકોને પ્રભાવિત કરવામાં સફળ રહે છે. ટ્રેલરથી ફિલ્મની વાર્તા સમજમાં આવે તેવી છે કે 8 વર્ષનો એક છોકરો કનૈયો પોતાની માતા સાથે મુંબઈનાં સ્લમમાં રહે છે, પરંતુ તેમની જિંદગીમાં બદલાવ ત્યારે આવે છે જ્યારે ખુલામાં શૌચ જવા પર તેની માતા સાથે દુષ્કર્મ થાય છે. આ ઘટના બાદ કાનુ મા માટે શૌચાલય બનાવવા પ્રાઇમ મિનિસ્ટરને પત્ર લખે છે અને પુછે છે કે, ‘તમારી મા સાથે આવુ થયુ હોત તો કેવું લાગ્યું હોત તમને?’ ટ્રેલરની શરૂઆત દિલ્હીનાં રાજપથથી દર્શાવવામાં આવી છે. જ્યાં કાનુ પોતાના બે અન્ય દોસ્તો સાથે પ્રાઇમ મિનિસ્ટરને મળવાની આશા સાથે પહોંચે છે. ત્યારબાદ ટ્રેલરમાં કેટલાક કૉમેડી દ્રશ્યો અને સંવાદો છે. ટ્રેલરમાં અરિજીત સિંહની અવાજમાં ટાઇટલ ટ્રેક સંભળાય છે. કનુ કહે છે કે, “માંગવાથી કંઇ નથી મળતુ, કરવાથી મળે છે, અને આ ફક્ત એક જ આદમી કરી શકે છે-ગાંધીજી.” કહેવામાં આવે છે કે આ ફિલ્મનો આઇડિયા રાકેશ ઓમપ્રકાશ મેહરાને ‘ભાગ મિલ્ખા ભાગ’ની શૂટિંગ દરમિયાન આવ્યો હતો. જ્યારે તેઓ શૂટિંગ પુરુ કરીને સવારે 4 વાગ્યાની આસપાસ ફિલ્મ સિટી નજીકથી પસાર થઇ રહ્યા હતા, જ્યાં મોટી સંખ્યમાં મહિલાઓ ખુલામાં શૌચ કરી રહી હતી, પરંતુ એક ગાડી આવતી જોઇને તેઓ તરત ત્યાંથી હટી ગઈ હતી. રાકેશ ઓમપ્રકાશ મેહરાએ કહ્યું કે દેશમાં 50 ટકા રેપ ખુલ્લામાં શૌચ કરવાને કારણે થાય છે.