કલાકારે સામાજિક હેતુલક્ષી ફિલ્મો પણ કરવી જોઇએ: શાહિદ કપૂર
મુંબઇ: ટોચના અભિનેતા શાહિદ કપૂરે કહ્યું હતું કે દરેક કલાકારે થોડીક સામાજિક હેતુલક્ષી ફિલ્મો પણ કરવી જોઇએ. જે સમાજમાં કલાકાર રહે છે એના પ્રત્યે પણ એની કોઇ જવાબદારી હોય છે. 'મેઇનસ્ટ્રીમ ફિલ્મો સાથે સંકળાયેલા દરેક કલાકારે સામાજિક હેતુલક્ષી ફિલ્મો કરવી જોઇએ જેથી મહત્ત્વના સંદેશા વધુ લોકો સુધી પહોંચે. મારી અગાઉની બે ફિલ્મો હૈદર અને ઊડતા પંજાબને લોકોએ બિરદાવી હતી કારણ કે એમાં મનોરંજનની સાથોસાથ ઉપયોગી સંદેશ હતો' એમ શાહિદે કહ્યું હતું. હૈદરમાં માનવ અધિકારોની વાત હતી. આજે ઇશાન ભારતનાં રાજ્યોમાં માનવ અધિકારોના ભંગની બૂમાબૂમ થઇ રહી છે ત્યારે આવી ફિલ્મ લોકો સુધી મહત્ત્વની વાત પહોંચતી કરી શકે છે. ઊડતા પંજાબમાં ડ્રગના અનિષ્ટની વાત હતી. હાલ પંજાબના યુવાનો ડ્રગના રવાડે ચડી ગયા છે એ તરફ ઊડતા પંજાબમાં આંગળી ચીંધવામાં આવી હતી. બત્તી ગુલ મીટર ચાલુમાં ઉત્તર ભારતમાં થઇ રહેલી બેફામ વીજચોરીની વાત સમાવી લેવામાં આવી છે. અગાઉ અક્ષય કુમારે ખુલ્લામાં ગુરુશંકા કરવાના નુકસાન તરફ આંગળી ચીંધતી ટોયલેટ એક પ્રેમકથા ફિલ્મ બનાવી હતી તથા મહિલાઓના સેનિટરી નેપકીન્સ વિશે પેડમેન ફિલ્મ બનાવી હતી.