શાહરુખ ખાનની આ અભિનેત્રી ફરી એકવાર બોલીવુડમાં કરશે કમબેક
મુંબઈ: વર્ષ ૨૦૦૧માં શાહરુખ ખાન સાથે ફિલ્મ અશોકામાં લીડ એક્ટ્રેસ તરીકે નજરે પડનાર ઋષિતા ભટ્ટ લગ્ન બાદ ફરી હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. આ વખતે તે જોજો ડિસુઝાની ઈશ્ક તેરાથી કમબેક કરવા જઈ રહી છે. તેની સાથે અક્સર-૨ ફૈમ અભિનેતા મોહિત મદાન નજરે પડશે.
ઈશ્ક તેરા ફિલ્મ પતિ-પત્નીના પ્રેમ સંબંધો પર આધારીત ફિલ્મ હશે. પોતાની આગામી ફિલ્મ અંગે વાત કરતા ઋષિતા ભટ્ટે જણાવ્યુ કે, ઈશ્ક તેરા પતિ-પત્નીના પ્રેમ સંબંધો પર આધારીત ફિલ્મ છે. જેમાં તે કલ્પના નામની એક એવા પત્નીના પાત્રમાં જોવા મળશે જે એક માનસિક બિમારીથી પીડિત છે. ફિલ્મમાં દર્શાવાયુ છે કે એક પતિ (મોહિત મદાન) કેવી રીતે પોતાની માનસિક બિમાર પત્નીને ગાંડાની જેમ પ્રેમ કરે છે અને તેને આ બિમારીમાંથી બહાર કાઢે છે. આ ફિલ્મ ૨૦ એપ્રિલના રોજ રીલીઝ થવાની છે. ઋષિતા ભટ્ટે જણાવ્યુ કે, આ વિષય પર ભારતમાં ઈશ્ક તેરા પોતાનામાં પ્રથમ ફિલ્મ છે. વિદેશોમાં આ રીતની ફિલ્મો ઘણી બની ચુકી છે અને સફળ પણ થઈ છે.
આપને જણાવી દઈએ કે, ઋષિતાએ બોલીવુડની ૧૨ જેટલી ફિલ્મોમાં કામ કર્યુ છે. ૧૯૮૧માં મુંબઈના બંગાળી ભાષી પરિવારમાં જન્મેલ ઋષિતાને બાળપણથી જ ડાંસ પ્રત્યે લગાવ હતો. જોકે તેની ઈચ્છા અભિનેત્રી નહીં પણ પાયલટ બનવાની હતી. લંડનની ટ્રિનિટી કોલેજમાં ગ્રેજ્યુએશન બાદ ઋષિતાએ ભારતના ટોચના કોરીયોગ્રાફર શ્યામક ડાબર સાથે કત્થક તાલીમ લીધી અને ત્યારબાદ તે ધીમે ધીમે બોલીવુડ ફિલ્મો તરફ આકર્ષાઈ અને તેમાં કામ કરવાની શરુઆત કરી.