વિકાસ બહલની સુપર 30માંથી થઇ હકાલપટ્ટી
મુંબઈ:બિહારના પ્રતિષ્ઠિત ગણિતજ્ઞ આનંદ કુમારની બાયો-ફિલ્મ સુપર ૩૦માંથી ડાયરેક્ટર વિકાસ બહલની હકાલપટ્ટી કરવામાં આવી હોવાની માહિતી મળી હતી.તાજેતરમાં તનુશ્રી દત્તા, નયની દીક્ષિત અને કંગના રનૌત જેવી મોખરાની અભિનેત્રીઓએ વિકાસ સામે છેડછાડ અને દુરાચારના આક્ષેપ મૂક્યા હતા. કંગના અને અન્યોએ તો રિતિક રોશનને આ વિવાદમાં ઘસડવાનો પ્રયત્ન કરતાં એવાં વિધાનો કર્યાં કે વિકાસ જેવા વ્યભિચારી સાથે રિતિક જેવો પ્રથમ પંક્તિનો અભિનેતા કામ કરે એ દુઃખદ ઘટના છે. ચર્ચા એટલી બધી ઉગ્ર બની રહી કે રિતિકે પણ એક નિવેદન પ્રગટ કરીને કહેવું પડયું કે ગુનેગાર સાબિત થાય એને સજા થવી જ જોઇએ.આનંદ કુમારની બાયો-ફિલ્મ સુપર ૩૦ ફેન્ટમ ફિલ્મ્સના નેજા તળે બની રહી છે. જો કે ગયા સપ્તાહે આ કંપનીનું વિસર્જન થઇ ગયું હતું. પરંતુ કંપનીના મુખ્ય સ્થાપકોમાં એક એવા અનુરાગ કશ્યપ અને સહનિર્માતા રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ દ્વારા સુપર ૩૦ના ડાયરેક્ટર પદેથી વિકાસને હાંકી કાઢવાનો કડક નિર્ણય કર્યો હતો. સોમવારે આ નિર્ણયની જાહેરાત કરાઇ હતી.આમ વિકાસને આ ફિલ્મના ડાયરેક્ટરપદેથી હાંકી કાઢવાનો નિર્ણય જાહેર કરાયો હતો અને એટલેથી નહીં અટકતાં વિકાસનું નામ સુદ્ધાં ક્રેડિટમાંથી કાઢી નાખવાનું પણ જાહેર કરાયું હતું.