ફિલ્મ જગત
News of Saturday, 10th August 2019

હવે લોકપ્રિય અભિનેત્રી વિદ્યા સિંહાની હાલત પણ ખરાબ છે

ફેફસા અને હાર્ટ સંબંધિત બિમારીથી ગ્રસ્ત : રજનીગંધા, છોટી સી બાતની અભિનેત્રી વેન્ટીલેટર ઉપર

મુંબઈ,તા.૧૦ : છોટી સી બાત, રજનીગંધા અને પતિ પત્નિ ઔર વો જેવી યાદગાર ફિલ્મોમાં મુખ્ય અભિનેત્રી તરીકેની ભૂમિકા ભજવી ચુકેલી પીઢ અભિનેત્રી વિદ્યા સિન્હાની તબિયત પણ ખરાબ થઈ હોવાના અહેવાલ મળ્યા છે. વિદ્યા સિન્હાને ગંભીર હાલતમાં જુહુની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો નથી. ૨૦૦૯માં બીજા પતિ સામે એફઆઈઆર દાખલ કરી હતી. આને લઈને પણ ચર્ચા રહી હતી. વિદ્યા સિન્હાની લાઇફ પણ ખુબ વિવાદમાં રહી છે પરંતુ તેમની ફિલ્મોને આજે પણ ચાહકો ખુબ ઉત્સાહ સાથે નિહાળે છે.

             રિપોર્ટ્સ મુજબ બે દિવસ પહેલાં એક્ટ્રેસની અચાનક તબિયત ખરાબ થતાં તેમને હોસ્પિટલ ખેસડવામાં આવ્યાં હતાં. તેમની હાલતમાં હજુ કોઈ સુધારો આવ્યો નથી અને તેઓને વેન્ટિલેટર પર જ રાખવામાં આવ્યાં છે. એક અંગ્રેજી ન્યૂઝ વેબસાઈટ મુજબ, ૭૨ વર્ષીય વિદ્યાને ફેફસાં અને હૃદય સંબંધી બીમારી છે. અમુક વર્ષ પહેલાં તેમને ફેફસાંની ગંભીર બીમારીમાંથી પસાર થવું પડ્યું હતું. ત્યારથી તે આ બીમારી સામે લડી રહ્યાં છે. પરંતુ હવે તેમને હૃદયની પણ બીમારી થઇ છે.

           વિદ્યાએ 'છોટી સી બાત', 'રજનીગંધા', 'પતિ પત્ની ઔર વો', 'મીરા', 'સબૂત', 'સ્વયંવર', 'લવ સ્ટોરી' જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. આ સિવાય તેમણે ટીવી શોમાં પણ કામ કર્યું છે. હાલ સ્ટાર પ્લસ પર આવતી સિરિયલ 'કુલ્ફી કુમાર બાજેવાલા'માં પણ તેઓ સામેલ હતાં. વિદ્યા તેમની રીલ લાઈફ સિવાય રિયલ લાઈફને લઈને પણ ઘણા ચર્ચામાં રહ્યાં હતાં. તેમણે ૨૦૦૯માં તેમના બીજા પતિ નેતાજી ભીમ રાવ સાલુંકે વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. તેમણે તેના પર મેન્ટલી અને ફિઝિકલી હેરેસમેન્ટનો આરોપ લગાવ્યો હતો. તેમણે પતિ વિરુદ્ધ કેસ કર્યો હતો જે તેઓ જીતી ગયાં હતાં.  બંનેએ છુટાછેડા લીધા હતા.

(7:23 pm IST)