સારો રોલ મળશે તો જરૂર અભિનય કરીશ: સુનિધિ ચૌહાણ
મુંબઈ:આજકાલ મ્યુઝિકને લઈને અનેક સવાલો ઉભા થાય છે. તેના સૂર અને મેલોડી સામે સવાલો ઉભા કરવામાં આવે છે. જોકે છેલ્લા બે દાયકાથી મ્યુઝિક ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલ સુનિધિ ચૌહાણ આ વાત સ્વીકારવા તૈયાર નથી. સુનિધિના મતે સંગીત ક્યારેય શોર શરાબા વિના હોઈ શકે નહીં. ટીવી રીયલ્ટી શો દીલ હૈ હિન્દુસ્તાની-૨માં જજની ભૂમિકામાં નજરે પડી રહેલ સુનિધિએ જણાવ્યુ હતું કે, સમયની સાથે મ્યુઝિક રજુ કરવાની સિસ્ટમ બદલાઈ ચુકી છે. પરંતુ સમય સાથે પરિવર્તન જરુરી છે. પરિવર્તન સારુ કે ખરાબ નથી હોતુ. પરિવર્તન માત્ર પરિવર્તન હોય છે, ખરાબી લોકોની નજરમાં હોય છે. છેલ્લા ૨૦ વર્ષથી હું આ પરિવર્તનનો ભાગ રહી છું અને સમયની સાથે પરિવર્તનને સ્વીકાર્યુ છે. આજના રીમેકના જમાના અંગે સુનિધિએ જણાવ્યુ કે, રીમેક જો તમે સારી રીતે બનાવો તો કોઈ સમસ્યા નથી, સમસ્યા એટલી જ છે જ્યારે ગીત સાથે ચેડા કરવામાં આવે. તમે ગીતને આખા અલગ ટોનમાં લઈ જાવ. જોકે તેમ છતા મારુ માનવુ છે કે બને ત્યાં સુધી રીમેક ઓછા બનવા જોઈએ. કારણકે રીમેક્સ એ મોટાભાગના મૂળ ગીત સાથે ચેડા સમાન હોય છે. સુનિધિએ જણાવ્યુ હતું કે મને આજે પણ અભિનયમાં રસ છે, જો સારો રોલ મળશે તો હું ચોક્કસ અભિનય કરવાનુ પસંદ કરીશ.