કરણ જોહર સાથે કડવાશ ભૂલી જઈ અજય દેવગણ કરશે ફિલ્મમાં કેમિયો
મુંબઇ: અજય દેવગણ અને કરણ જોહર વચ્ચે કડવાશ તે સહુ કોઇ જાણે છે. છતાં અભિનેતાએ દરિયાદિલ દાખવીને કરણના બેનર હેઠળ બનનારી ફિલ્મમાં કેમીયો કરવાની હા પાડી છે. જોકે તેણે આ નિર્ણય પોતાના ખાસ દિગ્દર્શક મિત્ર રોહિત શેટ્ટીને કારણે લીધો છે. હાલ રોહિત રણવીર સિંહ અને સારા અલી ખાન સાથે ફિલ્મ 'સિમ્બા બનાવી રહ્યો છે. આ ફિલ્મમાં રણવીર પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવી રહ્યો છે. રોહિત ઇચ્છે છે કે ફિલ્મના ક્લાઇમેક્સ હિસ્સામાં રણવીર સાથે અજય પણ જોડાય તો દર્શકોને વધુ મનોરંજન પુરું પાડી શકાશે.અજયની આ ફિલ્મમાં હાજરીથી ફિલ્મનું સ્તર પણ વધશે તેમ રોહિતનું માનવું છે. જોકે આ ફિલ્મનો નિર્માતા કરણજોહર પણ હોવાથી અજય શું નિર્ણય લેશે તે નક્કી કરી શકાતું નહોતું. પરંતુ અજયે રોહિત શેટ્ટીની વાતને તરત જ માની લીધી અને કેમીયો કરવા રાજી થયો છે. મનોરંજન ઉદ્યોગમાં અજય દેવગણની છાપ દરિયાદિલ અભિનેતા તરીકેની છે. જે તેણે રોહિત શેટ્ટીની વાત માનીને સાબિત કરી આપી છે. એક વાત ચોક્કસ છે કે જો આ ફિલ્મ સાથે રોહિત જોડાયો ન હોત તો અજય આ ફિલ્મમાં કામ કરવા રાજી ન થાત.