હવે હું નબળી સ્ક્રીપ્ટ ધરાવતી ફિલ્મો કરવાની ના પાડતો થઇ ગયો છું: કાર્તિક આર્યન
મુંબઇ: અભિનેતા કાર્તિક આર્યને કહ્યું હતું કે સફળતા માણસનો આત્મવિશ્વાસ વધારી દે છે. હવે હું નબળી સ્ક્રીપ્ટ ધરાવતી ફિલ્મો કરવાની ના પાડતો થઇ ગયો છું.અગાઉ લવ રંજનની સોનુ કે ટીટુ કી સ્વીટી ફિલ્મ હિટ નીવડી હતી પરંતુ એ કાર્તિકની પહેલી હિટ હતી એટલે એનો આત્મવિશ્વાસ હજુ ઓછો પડતો હતો. પરંતુ તાજેતરમાં રજૂ થયેલી લૂકા છીપી પણ હિટ નીવડતાં હવે કાર્તિકનો આત્મવિશ્વાસ સબળ બની ગયો હોવાનું એની વાતો પરથી સમજી શકાતું હતું.હાલ કાર્તિક ઇમ્તિયાઝ અલીની આગામી ફિલ્મ માટે પાટનગર નવી દિલ્હીમાં શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મમાં સારા અલી ખાન એની હીરોઇન છે. સારાની પણ પહેલી બંને ફિલ્મો કેદારનાથ અને સિમ્બા સફળ થઇ છે એટલે એ પણ ફૂલ ફોર્મમાં છે.કાર્તિકે કહ્યું કે બોક્સ ઑફિસના આંકડા કરતાં વધુ તો મારે એવો ભ્રમ ભાંગવો હતો કે કાર્તિક અમુક પ્રકારની ફિલ્મો જ સારી રીતે કરી શકે છે. એક અભિનેતાએ એના ભાગે આવેલા તમામ રોલ્સ ઉત્તમ રીતે કરી બતાવવા જોઇએ. મારી હિટ નીવડેલી બંને ફિલ્મોનાં મારા પાત્ર વૈવિધ્યસભર રહેવાથી મને સારો યશ મળ્યો.