વધુ અને સારું કામ મળી રહ્યાનો આનંદ છેઃ અદા ખાન
અભિનેત્રી અદા ખાને તેર વર્ષ પહેલા ફિલ્મી પરદે અભિનય શરૂ કર્યા પછી તેને ટીવી પરદાએ ઓળખ અપાવી હતી. તે કહે છે મેં જાહેરાતોમાં કામની શરૂઆત કરી હતી ત્યારે વિચાર્યુ નહોતું કે હું અભિનેત્રી બનીશ. સંઘર્ષ કરીને આ ફિલ્ડમાં સળતા મેળવનારી અદા કહે છે મહામારીના બે વર્ષ મારા માટે ખુબ વિકટ નિવડયા હતાં. એક તબક્કે તો હું બીજા કોઇ ફિલ્ડમાં જઇને કામ કરવાનું વિચારતી હતી. કલાકારનું કામ કોઇ નોકરી જેવું નથી હોતું કે દર મહિને પગારનો ચેક આવી જાય. એક્ટર્સને સતત અસલામતિમાંથી પસાર થવું પડતું હોય છે. અદા કહે છે હવે ટીવી પરદે પણ સમય બદલાયો છે. અહિ સર્જકો નવા શોમાં નવા ચહેરાને સ્થાન આપવા માંડયા હોઇ મારા જેવા કલાકારોને ક્યાં જવું એ વિચારતા હોય છે. પરંતુ આવા સમયમાં પણ ગયા વર્ષ કરતાં મને આ વર્ષમાં સારું કામ મળી રહ્યું છે તેનો આનંદ છે. મારી બે વેબ સિરીઝ પણ આવી રહી છે. નાગિન, અમૃતમંથન, કોમેડી નાઇટ્સ બચાઓ, ખતરો કે ખિલાડી સહિતના શો થકી તે જાણીતી છે.