ફિલ્મ જગત
News of Friday, 6th July 2018

કપિલ શર્માના જીવનના સંઘર્ષથી લઇને સફળતા સુધીની સફર ફિલ્મી પડદે જોવા મળશેઃ વિનોદ તિવારી ફિલ્મનું નિર્માણ કરશેઃ અભિનેતા તરીકે કપિલ શર્મા

મુંબઇઃ ટેલિવિઝનમાં કોમેડી શોથી લોકોને પેટ પકડીને હસાવનાર કપિલ શર્માના જીવન ઉપર ટુંક સમયમાં ફિલ્મનું નિર્માણ કરવામાં આવશે.

બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં હવે બાયોપિક બનાવવાનો ટ્રેન્ડ બની રહ્યો છે. અજહરુદ્દીન, ધોની, સચિન બાદ સંજય દત્તની બાયોપિક સંજૂ હાલ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. સંજૂ બાદ વધુ એક બાયોપિક બનવાની તૈયારીમાં છે. જી હાં, આ બાયોપિક હશે કોમેડિયન સ્ટાર કપિલ શર્માની. લાંબો સમય બાદ પડદા પરથી દૂર રહ્યા બાદ કપિલ શર્મા ફિલ્મ ફિરંગીમાં જોવા મળ્યો હતો.

કપિલ શર્માના ફેન્સ કપિલની જિવનનો સંઘર્ષથી લઈને સફળતા સુધીના સફરની આખી કહાણી જાણી શકશે. ઉલ્લેખનીય છે કે હિન્દી ફિલ્મ તેરી ભાભી હૈ પગલના ડાયરેક્ટર વિનોદ તિવારી ટૂંક સમયમાં જ કપિલ શર્માની બાયોપિક લઈને આવનાર છે. એમની ઈચ્છા છે કે તેઓ કપિલ પર બાયોપિક બનાવે અને ખુદ કપિલ એમાં કપિલનો રોલ નિભાવે.

વિનોદ તિવારીએ કહ્યું કે જો કપિલ પોતાની બાયોપિકમાં ખુદ પોતાનો રોલ નિભાવશે તો તેમની સાથે કામ કરવાની વધુ મજા આવશે. પરંતુ જો કપિલ ના પાડી દે તો કપિલના રોલ માટે કૃષ્ણા અભિષેક ફીટ રહેશે. બંને કોમેડીમાં પણ માહેર છે, માટે કપિલ શર્માના રોલને ન્યાય આપી શકશે. વિનોદને ફિલ્મ સંજૂમાંથી કપિલ શર્માની બાયોપિક બનાવવાની પ્રેરણા મળી.

કપિલ શર્માની બાયોપિકના ખ્યાલ વિશે વિનોદ તિવારીએ કહ્યું કે ફિલ્મ સંજૂ જોયા બાદ હું એક બાયોપિક બનાવવા માટે પ્રેરિત થયો અને મને અહેસાસ થયો કે તે બાયોપિક કપિલ શર્માની હોય શકે છે. મને લાગે છે કે એમની સ્ટોરી લોકોની સામે આવવી જોઈએ. આના માટે કપિલની બાયોપિક બનાવવા માટે તૈયાર હોય તેવા પ્રોડ્યુસર સાથે મેં વાત કરી છે . હું વર્ષ 2011માં જ કપિલની બાયોપિક બનાવવા માંગતો હતો પણ બનાવી નહોતો શક્યો.

આમ તો ટીવીના પ્રખ્યાત કોમેડિયન કપિલ શર્મા અને કૃષ્ણા અભિષેક વચ્ચે બહું બનતું નથી તે જગજાહેર છે જ. એવામાં જો કૃષ્ણા અભિષેક કપિલનો રોલ નિભાવે તો તે બહુ રસપ્રદ હશે. હાલ વિનોદ તિવારી કપિલની બાયોપિક બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છે. સાથે જ 13 જુલાઈએ રિલીઝ થનાર પોતાની ફિલ્મ તેરી ભાભી હૈ પગલેમાં સંજય દત્તની ભત્રીજી નાજિયા હુસૈનને પણ લૉન્ચ કરી રહ્યા છે જેના પર ફિલ્મ ઈન્ડસ્ટ્રીની નજર છે.

(6:21 pm IST)