ફરી એકવાર સાથે ફિલ્મ કરશે રાજકુમાર હિરાણી-રણબીર કપૂર
મુંબઇ: અભિનેતા સંજય દત્તની બાયો-ફિલ્મ સંજુ આપનારી જોડી ડાયરેક્ટર રાજકુમાર હીરાણી અને ટોચનો અભિનેતા રણબીર કપૂર ફરી એકવાર સાથે કામ કરશે એવી માહિતી મળી હતી. સંજુના પ્રમોશન વખતે હીરાણીને એવો સવાલ કરવામાં આવ્યો હતો કે અગાઉ તમે સંજય દત્ત સાથે મુન્નાભાઇ એમબીબીએસ અને લગે રહો મુન્નાભાઇ જેવી બે ફિલ્મો કરી હતી અને આમિર ખાન સાથે થ્રી ઇડિયટ્સ કરી હતી. તમે રણબીર કપૂર સાથે વધુ એકાદી ફિલ્મ કરશો ખરા કે ? એ સમયે એણે મિડિયાને ચોખ્ખી ના પાડી હતી કે હું રણબીર સાથે ફરી ફિલ્મ કરવાનો નથી. પરંતુ હીરાણીની નિકટનાં સૂત્રોએ કહ્યું કે રાજુએ મિડિયા સમક્ષ જોક મારી હતી જેને મિડિયાએ ગંભીરતાથી લઇ લીધી. હકીકતમાં હીરાણી રણબીર કપૂર સાથે બીજી ફિલ્મ કરવાનો નિર્ણય કરી ચૂક્યા છે અને હાલ એ ફિલ્મની સ્ક્રીપ્ટ પર પોતાનું ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે. કદાચ એવું પણ બને કે સંજય દત્ત અને રણબીર કપૂર બંનેને લઇને હીરાણી ફિલ્મ બનાવે. મુન્નાભાઇ ફ્રેન્ચાઇઝીની ત્રીજી કડી આ પ્રકારની ફિલ્મ હોઇ શકે છે.