આગામી ફિલ્મમાં બૉક્સરની ભૂમિકામાં નજરે પડશે શાહિદ કપૂર
મુંબઈ: અભિનેતા શાહિદ કપૂર એની આગામી એક ફિલ્મમાં બોક્સરનો રોલ કરશે એવી જાણકારી મળી હતી. અક્ષય કુમારની હિટ ફિલ્મ એરલિફ્ટના સર્જક રાજા કૃષ્ણ મેનન એક ફિલ્મનુંુ પ્લાનિંગ કરી રહ્યા છે જેમાં શાહિદ આ રોલ કરશે એવી માહિતી મળી હતી. અત્યાર અગાઉ શાહિદે વિવિધ રોલ કર્યા છે. એની છેલ્લી સુપરહિટ ફિલ્મ સંજય લીલા ભણસાલીની પદ્માવતમાં એણે રજપૂત રાજા રાવત રતન સિંહનો રોલ કર્યો હતો. એની પહેલાં વિશાલ ભારદ્વાજે બનાવેલી વિલિયમ શેક્સપિયરના નાટક હેમ્લેટ પર આધારિત હૈદરમાં એણે મુખ્ય રોલ કર્યો હતો. ત્યારબાદ ઊડતા પંજાબમાં એણે ડ્રગ માફિયાનો રોલ કર્યો હતો. આમ એની અભિનય કારકિર્દીમાં ભરપુર વૈવિધ્ય જોવા મળ્યું હતું. હવે એ બોક્સનો રોલ કરવાનો છે અને એ માટે એને ખાસ ટ્રેનિંગ પણ આપવામાં આવશે એેવી માહિતી મળી હતી. અત્યાર અગાઉ સુલતાન ફિલ્મમાં સલમાન ખાને અને દંગલ ફિલ્મમાં આમિર ખાને કુસ્તીબાજનો રોલ કર્યો હતો. હાલ શાહિદ શ્રી નારાયણ સિંઘની બત્તી ગુલ મીટર ચાલુ ફિલ્મ કરી રહ્યો છે જેમાં ઉત્તર ભારતમાં પ્રવર્તતી બેફામ વીજચોરીના વિષયને રજૂ કરાયો છે.