ગંભીર બીમારીથી પીડાય છે ઇરફાન ખાન
ટ્વિટર પર કર્યો ખુલાસો
મુંબઇ તા. ૬ : બોલીવુડ અભિનેતા ઇરફાન ખાન હાલમાં કોઈ ગંભીર બીમારીનો સામનો કરી રહ્યા છે. તેની જાણકારી ખુદ ઇરફાન ખાને ટ્વિટ કરીને આપી છે. તેણે કહ્યું કે, તે કોઈ ગંભીર બીમારીથી પિડાય છે પરંતુ તેનો તપાસ રીપોર્ટ સામે ન આવે ત્યાં સુધી તે આ મામલે કંઈપણ શેર નહીં કરે.
૫૧ વર્ષીય અભિનેતાએ ટ્વિટ કરીને જણાવ્યું કે, તે અને તેના પરિવાર માટે આ બીમારીના સમાચાર ખૂબ જ વિચલિત કરનારા છે. સાથે જ તેણે પોતાના પ્રશંસકોને અપીલ કરી કે તે તેના સ્વાસ્થ્ય વિશે કોઈપણ પ્રકારની અટકળો ન લગાડે.
ઇરફાને લખ્યું કે, કયારેય તમે જાગો ત્યારે તમને જાણવા મળે કે તમારું જીવન સંપૂર્ણ રીતે હલી ગયું છે. વિતેલા ૧૫ દિવસમાં મારું જીવન અનિશ્ચિતતાની કહાની બની ગયું છે. મને તેના વિશે અંદાજ પણ ન હતો કે દુર્લભ કહાનીઓની શોધ કરતાં કરતાં મને એક દુર્લભ બીમારી મળી જશે. જોકે મે આશા નથી છોડી અને હંમેશા પોતાની પસંદની લડાઈ લડી અને આગળ પણ લડતો રહીશ.
ઇરફાને આગળ લખ્યું કે મારા પરિવાર અને મારા મિત્રો મારી સાથે છે અને અમે બધા હાલમાં આ બીમારીમાંથી બહાર નીકળવાના સારા રસ્તા શોધી રહ્યા છીએ. આ પ્રયત્ન દરમિયાન કૃપા કરીને કોઈ અટકળો ન લગાવવી કારણ કે એક સપ્તાહ-દસ દિવસની અંદર હું ખુદ જ તમારી સાથે મારી કહાની શેર કરીશ. ત્યાં સુધી મારા માટે પ્રાર્થના કરો.