નવાઝુદ્દીન સિદ્દીકી હવે ફિલ્મમાં એક પાગલ પ્રેમીનો રોલ કરશે
મુંબઈ:વૈવિધ્યપૂર્ણ રોલ્સ કરવા માટે પંકાયેલો અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી હવે પછીની ફિલ્મમાં એક પાગલ પ્રેમી જેવો રોલ કરશે એવી જાણકારી મળી હતી.આ રોલને નવાઝ ચેલેંજિંગ ગણાવે છે. એનું કારણ સમજવા જેવું છે. સામાન્ય રીતે ચોકલેટી હીરોઝ કરે એવો આ રોલ છે જ્યારે નવાઝ ચોકલેટી હીરો નથી. એણે અગાઉ આ પ્રકારના રોલ કર્યા નથી. મોતીચુર ચકનાચુર ફિલ્મના સર્જકો વૂડપેકર મૂવીઝના કિરણ અને રાજેશ ભાટિયા આ ફિલ્મનું પ્લાનિંગ કરી રહ્યાં છે. નવાઝુદ્દીન માને છે કે અત્યારે એની કારકિર્દી અને ઓડિયન્સ બંને બદલાઇ રહ્યાં છે. બંનેમાં નવો ઉન્મેષ પ્રગટી રહ્યો છે.આ ફિલ્મનું ઔર એક રસપ્રદ પાસું એ છે કે નવાઝુદ્દીનનો ભાઇ શમસ નવાબ સિદ્દીકી આ ફિલ્મનંુ ડાયરેક્શન કરવાનો છે. શમસ ઉત્તેજિત છે કે એને પોતાના ટેલેન્ટેડ ભાઇને ડાયરેક્ટ કરવાની તક મળી રહી છે. અગાઉ શમસે મોટે ભાગે ટૂંકી ફિલ્મો અને એડ ફિલ્મો કરી હતી. એની એક ફિલ્મ મિયાં કલ આનાએ તો ૩૪ ફિલ્મસ ફેસ્ટિવલોમાં ધમાલ મચાવી હતી અને આ ફિલ્મ માટે શમસને દસ એવોર્ડ મળ્યા હતા. આ ઉપરાંત શમસે નંદિતા સાથે મન્ટોના સહનિર્માતાની જવાબદારી પણ અદા કરી હતી.નિર્માતા રાજેશ ભાટિયાએ કહ્યું કે અમારું ટાર્ગેટ આ ફિલ્મ ૪૫ દિવસમાં પૂરી કરવાનું છે.